MP: વહુઓ ખુલ્લામાં શૌચ ન જાય એટલા માટે હાથમાં લોટા લઈને દોડી સાસુઓ! જાણો શું છે આખો મામલો
Updated: Oct 13th, 2021
- સાસુઓના કહેવા પ્રમાણે તેઓ તો આખી જિંદગી શૌચ માટે જંગલો અને ખેતરોમાં ભાગતા રહ્યા પરંતુ વહુઓ એવું ન કરે
નવી દિલ્હી, તા. 13 ઓક્ટોબર, 2021, બુધવાર
મધ્ય પ્રદેશના ભોપાલ પાસે આવેલા એક ગામડામાં અનોખી દોડ પ્રતિયોગિતા યોજાઈ હતી. ઘરોમાં શૌચાલયો બની ગયા બાદ સાસુઓએ તો ખુલ્લામાં શૌચ કરવાનું છોડી દીધું હતું પરંતુ અનેક ઘરની વહુઓ હજુ પણ ખુલ્લામાં શૌચ માટે જાય છે. આવી વહુઓને સમજાવવા માટે મંગળવારે ભોપાલ નજીક આવેલા એક ગામડામાં 18 સાસુઓએ લોટા લઈને દોડ લગાવી હતી.
આ રીતે તેમણે વહુઓ અને અન્ય લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે, ખુલ્લામાં શૌચ કરવાથી ઈજ્જતને ખતરો છે જ પણ તેના સાથે બીમારીઓ પણ થાય છે. દોડનારી મહિલાઓ 50થી 60 વર્ષની ઉંમરની સાસુઓ હતી અને તેમની વહુઓ દર્શક હતી. 50 મીટર દોડ્યા બાદ સાસુએ વિનિંગ પોઈન્ટ પર પાણી ભરેલો લોટો ફેંકીને સંદેશો આપ્યો કે, વહુઓ જિંદગીભર ખુલ્લામાં શૌચ ન જાય અને ઘરમાં બનેલા શૌચાલયમાં જ શૌચ કરે. સાસુઓના કહેવા પ્રમાણે તેઓ તો આખી જિંદગી શૌચ માટે જંગલો અને ખેતરોમાં ભાગતા રહ્યા પરંતુ વહુઓ એવું ન કરે.
મંગળવારે સાંજે યોજાયેલી આ અનોખી દોડ પ્રતિયોગિતામાં રાધા પ્રજાપતિ પહેલા સ્થાને આવ્યા હતા. મંજૂબેન બીજા અને અર્પિતા પ્રજાપતિ ત્રીજા સ્થાને રહ્યા હતા. આ બધાને તેમની વહુઓએ જ ફૂલોની માળા અને મેડલ પહેરાવ્યા હતા. જિલ્લા પંચાયતના અધિકારીઓના કહેવા પ્રમાણે સાસુ-વહુ વચ્ચેનો સંકોચ દૂર કરવા અને બંનેમાં સંવાદ કાયમ રાખવા માટે આ દોડ યોજવાનો આઈડિયા અમલમાં મુકવામાં આવ્યો હતો.