Get The App

ચૂંટણી પહેલા મતુઆ વૉટર્સને લઈને બંગાળમાં રાજકારણ ગરમાયું, 45 બેઠકો પર બદલાઈ શકે છે સમીકરણ

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
TMC vs BJP


TMC vs BJP: પશ્ચિમ બંગાળમાં આશરે 45 બેઠકો એવી છે જ્યાં 'મતુઆ' સમુદાયના લોકો જેમને મત આપે તેમની જીત નક્કી માનવામાં આવે છે. આ સમુદાયના મોટાભાગના લોકો વર્ષો પહેલા બાંગ્લાદેશથી શરણાર્થી તરીકે ભારત આવ્યા હતા. અત્યારે વિવાદનું મુખ્ય કારણ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહેલું 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન'(SIR) એટલે કે મતદાર યાદીની ખાસ તપાસ છે. આ પ્રક્રિયામાં 2002ની જૂની મતદાર યાદીને આધાર માનવામાં આવી છે. 

મતુઆ સમુદાયના ઘણા લોકો એવા છે જેઓ 2002 પછી ભારતમાં આવ્યા છે અથવા તેમની પાસે તે સમયના કોઈ પુરાવા નથી. પરિણામે, લાખો લોકોના નામ નવી યાદીમાંથી કપાઈ જવાનો ડર છે, જેના કારણે તેમનો વોટ આપવાનો અધિકાર છીનવાઈ શકે છે. આ જ કારણ છે કે મમતા બેનર્જી(TMC) અને ભાજપ(BJP) બંને આ મુદ્દે સામસામે આવી ગયા છે, એક તરફ ઓળખ અને નાગરિકતાનો સવાલ છે, તો બીજી તરફ આ સમુદાયના લાખો મતો પર બંગાળની સત્તાનું ભાવિ ટકેલું છે.

શું છે આ SIR વિવાદ?

ચૂંટણી પંચે તાજેતરમાં મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે, જેમાં 58 લાખથી વધુ નામો હટાવવામાં આવ્યા છે. આને કારણે રાજ્યમાં મતદારોની સંખ્યા 7.66 કરોડથી ઘટીને 7.08 કરોડ થઈ ગઈ છે. મતુઆ સમુદાયના ગઢ ગણાતા વિસ્તારો જેવા કે ગાઈઘાટા(14.5%), હાબરા(13.6%) અને બાગદા(12.7%)માં મોટી સંખ્યામાં મતદારો 'અનમેપ્ડ'(Unmapped) જણાયા છે.

ચિંતાનું મુખ્ય કારણ

પંચ 2002ની મતદાર યાદીને વેરિફિકેશન માટે ટેમ્પલેટ તરીકે વાપરી રહ્યું છે. જેમના પૂર્વજોના નામ આ યાદીમાં નથી, તેઓએ હવે પોતાની નાગરિકતા સાબિત કરવા માટે 1950 કે 1971 પહેલાના દસ્તાવેજો રજૂ કરવા પડશે, જે આ વિસ્થાપિત સમુદાય માટે અત્યંત મુશ્કેલ છે.

કોણ છે મતુઆ સમુદાય?

મતુઆ સમુદાય મૂળભૂત રીતે પૂર્વી પાકિસ્તાન(વર્તમાન બાંગ્લાદેશ)થી ધાર્મિક ઉત્પીડનને કારણે ભારત આવેલા 'નામશૂદ્ર' (અનુસૂચિત જાતિ) સમુદાયના લોકો છે. આ સમુદાયની સ્થાપના 19મી સદીમાં હરિચંદ ઠાકુર દ્વારા કરવામાં આવી હતી, જેમણે બ્રાહ્મણવાદ વિરોધી અને જાતિવાદ મુક્ત સમાનતાનો પ્રબળ સંદેશ ફેલાવ્યો હતો. તેમની વિચારધારા સામાજિક ન્યાય અને માનવીય ગરિમા પર આધારિત છે. વસ્તીની દૃષ્ટિએ જોઈએ તો, પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જાતિઓમાં રાજવંશીઓ પછી મતુઆ સમુદાય બીજો સૌથી મોટો અને પ્રભાવશાળી સમુદાય છે.

PM મોદીની મુલાકાત અને મતુઆઓની આશા

20 ડિસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીની નદિયા જિલ્લાના રાનાઘાટની મુલાકાત ખૂબ જ મહત્ત્વની હતી. જોકે, ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર ઉતરી શક્યું નહીં અને તેમણે વર્ચ્યુઅલ સંબોધન કર્યું. પરંતુ આ સંબોધનમાં SIRના મુદ્દે તેમની ચુપકીદીએ મતુઆ સમુદાયના એક વર્ગમાં ચિંતા વધારી દીધી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ખેડૂત પરિવારના 4 લોકો મૃત હાલતમાં મળ્યા, સામૂહિક આત્મહત્યાની આશંકા

CAA નાગરિકતા: ભાજપનો ચૂંટણી વાયદો

ભાજપ માટે મતુઆ સમુદાય ધાર્મિક રીતે સતાવાયેલા હિન્દુ શરણાર્થીઓ છે, જેમને CAA દ્વારા નાગરિકતા આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. બીજી તરફ, TMC સાંસદ મમતા બાલા ઠાકુરનો દાવો છે કે CAAની જટિલ પ્રક્રિયાને કારણે 95% મતુઆઓ પાસે જરૂરી દસ્તાવેજો જ નથી. TMC આ સમુદાયને 'બિનશરતી નાગરિકતા' આપવાની માંગ કરી રહી છે.

ચૂંટણી પહેલા મતુઆ વૉટર્સને લઈને બંગાળમાં રાજકારણ ગરમાયું, 45 બેઠકો પર બદલાઈ શકે છે સમીકરણ 2 - image