પતિની હેવાનિયત: પત્નીની હત્યા કરી લાશને ડ્રમમાં ભરીને દાટી દીધી, બાળકોએ ખોલ્યું રહસ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tamilnadu News: તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાંથી એક અત્યંત સનસનાટીભર્યો અને હૃદય કંપાવી દેતો હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં એક પતિએ તેની પત્નીની નિર્દયતાથી હત્યા કર્યા બાદ, તેના મૃતદેહને એક ડ્રમમાં ભરીને ઘરથી ત્રણ કિલોમીટર દૂર જમીનમાં દાટી દીધો હતો. બે મહિના સુધી છુપાયેલું આ ઘોર અપરાધનું રહસ્ય ત્યારે ખુલ્યું, જ્યારે મૃતકના પિતાએ દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને માસૂમ બાળકોએ જણાવ્યું કે તેમની માતા બે મહિનાથી ગાયબ છે.
પતિએ કબૂલ્યો ગુનો
આરોપી પતિની ઓળખ સિલામ્બરાસન તરીકે થઈ છે, અને મૃતક પત્નીનું નામ પ્રિયા (26) છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે જણાવ્યું કે, 14 ઓગસ્ટના રોજ તેણે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. તિરુવલ્લુરના એસપી વિવેકાનંદ શુક્લાના જણાવ્યા મુજબ, પોલીસે આરોપીની નિશાનદેહી પરથી મૃતદેહ ભરેલું ડ્રમ જમીનમાંથી બહાર કાઢીને કબ્જે કર્યું છે.
કેવી રીતે ખુલ્યું રહસ્ય?
પ્રિયા અને સિલામ્બરાસનને બે પુત્રો છે. આ બાળકોએ પોતાના નાના (પ્રિયાના પિતા શ્રીનિવાસન) ને જણાવ્યું કે તેમની માતા છેલ્લા બે મહિનાથી ઘરેથી ગાયબ છે. આ સાંભળીને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેમણે તરત જ પોલીસમાં દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે જ્યારે પતિ સિલામ્બરાસનની કડક પૂછપરછ શરૂ કરી, ત્યારે તે ભાંગી પડ્યો અને તેણે આખી હકીકત જણાવી દીધી.
આ પણ વાંચો: જયપુરમાં બેફામ કારે ત્રણ બાઈકને મારી ટક્કર, દુર્ઘટનામાં એક જ પરિવારના 4 શ્રદ્ધાળુના મોત
લડાઈ-ઝઘડામાં હત્યા
સિલામ્બરાસને પોલીસને જણાવ્યું કે તેની અને પ્રિયા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. 14 ઓગસ્ટે પણ બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જે બાદ ગુસ્સામાં તેણે પ્રિયાની હત્યા કરી નાખી. હત્યાના થોડા દિવસો પહેલા જ પ્રિયા તેના પિયર ગઈ હતી અને માતા-પિતાને કહ્યું હતું કે તે હવે અલગ થવાનું વિચારી રહી છે, પરંતુ પરિવારે તેને સમજાવીને પાછી સાસરીમાં મોકલી દીધી હતી. હાલમાં, પોલીસે સિલામ્બરાસન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. કોર્ટે તેને 15 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે, અને પ્રિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.









