ઉત્તરકાશીમાં આભ ફાટયું : આઠનાં મોત, અનેક લાપતા
- ભારે વરસાદના કારણે પર્વતનો અડધો ભાગ ધસી પડયો : અનેક દટાયાની આશંકા
- ઉત્તરકાશીમાં અઢી કલાકના અંતે વાદળ ફાટવાની ત્રણ ઘટના બની, હર્ષિલમાં આર્મી કેમ્પ-હેલીપેડ તણાયા, 10 જવાન ગુમ : અકસ્માત સમયે ધરાલીમાં 200થી વધુ લોકો હતા
ઉત્તરકાશી : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી નજીક ખીર ગંગા નદી પર વાદળ ફાટવાના કારણે પૂર આવતા ત્યાંની ૨૦-૨૫ હોટેલ, હોમ સ્ટે, ઘરો અને ઝાડ તણાઈ ગયા, જેના કારણે આઠ લોકોનાં મોત થયા છે અને હજુ ૭૦ જેટલા લોકો લાપતા છે. પરિણામે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. બીજીબાજુ જળશક્તિ મંત્રાલયે જણાવ્યું કે મંગળવારે ઉત્તરકાશીમાં માત્ર અઢી કલાકના સમયમાં વાદળ ફાટવાની ત્રણ ઘટના બની હતી, જેના પગલે ધરાલીમાં ભારે વિનાશ વેરાયો હતો. આ સિવાય વરસાદે ઉત્તર ભારતમાં હિમાચલ, રાજસ્થાનથી લઈને દક્ષિણ સુધીના રાજ્યોમાં ભારે વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું હતું.
ઉત્તરાખંડમાં આવેલું ધરાલી ગંગાના મુખ ગંગોત્રી ધામનું મુખ્ય સ્ટોપઓવર હોવાથી અહીં મોટી સંખ્યામાં હોટેલો, રેસ્ટોરાં અને સ્ટે હોમ્સ આવેલા છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું રોકાણ હોય છે. મંગળવારે વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં અડધું ગામ પર્વતના કાટમાળમાં દટાઈ ગયું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ કુદરતી દુર્ઘટના સમયે પણ ધરાલી ગામમાં અંદાજે ૨૦૦થી વધુ સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ હતા. આ ઘટનાના થોડાક જ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીનો સંપર્ક કર્યો હતો અને અસરગ્રસ્તોની મદદ માટે સાત રેસ્ક્યુ ટીમો મોકલવાનો આદેશ આપ્યો હતો.
સરકારે જણાવ્યું કે, એસડીઆરએફ, એનડીઆરએફ, આઈટીબીપી અને આર્મીની ટીમો બચાવ અને રાહત કાર્યમાં લાગી છે. ધરાલીની સાથે હર્ષિલ અને સુક્કીમાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી. હર્ષિલમાં ૮થી ૧૦ જવાનો લાપતા થયા હોવાના અહેવાલ છે. હર્ષિલમાં નદી કિનારે બનેલું હેલીપેડ પણ તણાઈ ગયું છે. ઉત્તરકાશીમાં છેલ્લા બે દિવસથી મૂશળધાર વરસાદ થઈ રહ્યો હતો. મંગળવારે બપોરે ૧.૪૫ કલાકે વાદળ ફાટતા પર્વતના ખડકોનો કાટમાળ ખીરગંગા નદીમાં ખાબક્યો હતો, જેના કારણે નદી ઓવરફ્લો ધરાલીના મુખ્ય બજાર તરફ વળ્યો હતો અને માત્ર ૨૦ સેકન્ડમાં જ અડધું ધરાલી ગામ કાટમાળ નીચે દટાઈ ગયું હતું.
આ દુર્ઘટના નજરે જોનારા કેટલાક લોકોએ કહ્યું કે, કોઈ કંઈ સમજે અને સલામત જગ્યાએ જાય તે પહેલાં જ અનેક હોટેલ, રિસોર્ટ, દુકાનો, ઘર બધું જ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ધરાલીનું પ્રખ્યાત કલ્પકેદાર મંદિર પણ સંપૂર્ણપણે કાટમાળ હેઠળ દબાઈ ગયું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે, માત્ર ૨૦થી ૩૦ ચો. કિ.મીના વિસ્તારમાં પ્રતિ કલાક ૧૦૦ મી.મી.થી વધુના દરે વરસાદ ખાબકતા વાદળ ફાટવાની ઘટના સર્જાઈ હતી.
દરમિયાન હિમાચલ પ્રદેશના મંડીમાં છેલ્લા ૧૨ કલાકમાં ૧૫૦ મીમી વરસાદ ખાબકતા તેમજ ભૂસ્ખલન અને ફ્લેશફ્લડના કારણે ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત ૪૩૦ રસ્તા બંધ થઈ ગયા હતા, જેના કારણે અનેક વિસ્તારોનો સંપર્ક ખોવાઈ ગયો હતો. બીજીબાજુ ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં ભારે વરસાદના કારણે કાચું ઘર તૂટી પડતાં ત્રણ વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે તેની બે બહેનોને ઈજા પહોંચી હતી. દક્ષિણના રાજ્ય કેરળમાં પણ ભારે વરસાદે સામાન્ય જનજીવન ખોરવ્યું હતું. આખી રાત મૂશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. હવામાન વિભાગે કેરળના ચાર જિલ્લામાં આગામી દિવસો માટે રેડ એલર્ટ જાહેર કરી છે. અરૂણાચલ પ્રદેશમાં પણ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે મૂશળધાર વરસાદ અને વાવાઝોડાંની ચેતવણી આપી છે.