Get The App

લાગણી દુભાય એટલે સ્ટેન્ડ અપ કોમેડી કે ફિલ્મ દર્શાવવાનું બંધ ન કરાય: સુપ્રીમ

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
લાગણી દુભાય એટલે સ્ટેન્ડ અપ કોમેડી કે ફિલ્મ દર્શાવવાનું બંધ ન કરાય: સુપ્રીમ 1 - image


Supreme Court news: કર્ણાટકમાં અભિનેતા કમલ હાસનની ફિલ્મ ઠગલાઇફ સિનેમાગૃહોમાં રજૂ ન કરવા દેનારા સામે પગલાં ભરવા કર્ણાટક સરકારને આદેશ આપતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોઇની લાગણી દુભાઇ જાય એટલે જ ફિલ્મ દર્શાવવાનું, સ્ટેન્ડ અપ કોમેડી કરવાનું કે કાવ્યપાઠ કરવાનું બંધ ન કરી દેવાય. 

જસ્ટિસ ઉજ્જવલ ભૂયાન અને જસ્ટિસ મનમોહનની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે ભારતમાં તો લાગણી દુભાઇ જવાનો કોઇ અંત જ નથી. જો સ્ટેન્ડ અપ કોમેડિયન કશું કહે તો લાગણી દુભાઇ જાય છે અને લોકો દેખાવો અને ભાંગફોડ કરવા માંડે છે. આપણે ક્યાં જઇ રહ્યા છીએ? શું આનો અર્થ એવો છે કે આપણે દેખાવો થાય એટલે ફિલ્મ બતાવવાનું, સ્ટેન્ડ અપ કોમેડી કરવાનું કે કાવ્યપાઠ કરવાનું બંધ કરી દેવું જોઇએ? આપણે ક્યાં જઇ રહ્યા છીએ?    સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સરકારે સોગંદનામું નોંધાવી ફિલ્મ રજૂ કરવાનો માર્ગ મોકળો કરી દીધો છે. અમે ન્યાયના હિતમાં કોઇ માર્ગદર્શક રેખાઓ જાહેર કરવાનુંં કે દંડ લાદવાને બદલે મામલો પતાવી દઇએ છીએ. જો કે, અમે કર્ણાટક સરકારને આદેશ આપ્યો છે કે કોઇ વ્યક્તિ કે જૂથ ફિલ્મને રજૂ થતી અટકાવવા ધાકધમકી કે હિંસાનો પ્રયાગ કરે તો સરકાર પ્રવર્તમાન કાયદાઓ હેઠળ તેમની સામે પગલાં ભરશે અને તેમની પાસેથી નુકશાન વસૂલ કરશે. 

કમલ હાસન પાસેથી માફી મંગાવવાના મામલે સુપ્રીમ કોર્ટે કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ -કેએફસીસી-ને જણાવ્યું હતું કે અમે આમ ન થવા દઇ શકીએ.કોઇનો મત અલગ હોય એટલે ફિલ્મ રજૂ થતાં અટકાવવાની? સ્ટેન્ડ અપ કોમેડી થતી અટકાવવાની? કાવ્ય પાઠ બંધ કરી દેવાનો?કેએફ સીસીના વકીલે જ્યારે બચાવ કર્યો કે અમે રાજ્યમાં થઇ રહેલાં દેખાવોને ધ્યાનમાં લઇ માફી માંગવા જણાવતો પત્ર જારી કર્યો હતો, તેમને કોઇ ધમકી આપી નહોતી. જસ્ટિસ ભૂયાને સવાલકર્યો હતો કે આ મામલે તમે પોલીસ ફરિયાદ કરેલી? ના. તો તેનો અર્થ એ થાય કે તમને તેમની સામે કોઇ ફરિયાદ નથી. તમે લોકોના દબાણને વશ થઇ ગયેલાં. તમે તેમની પાછળ સંતાઇ રહ્યા છો. એ પછી એએફસીસીના વકીલે અદાલતના કોઇપણ આદેશનો તે  સ્વીકાર કરે છે તેમ  જણાવ્યું હતું. કમલહાસનની રાજકમલ ફિલ્મ ઇન્ટરનેશનલ લિ. વતી વકીલે જણાવ્યું હતું કે ફિલ્મના એક નિર્માતાએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં તેમને રેવન્યુમાં 30 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે પણ સરકાર ફિલ્મ રજૂ કરાય ત્યાં સુરક્ષા આપે તો તેમને ફિલ્મ રજૂ કરવામાં કોઇ વાંધો નથી. 

કર્ણાટક સરકારની ઝાટકણી કાઢતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે ટોળાંઓ અને નૈતિક ઠેકેદારો સડકો પર ઉતરી આવી ધાર્યું કરે તે ન ચલાવી લેવાય. જસ્ટિસ ઉજ્જવલ ભૂયાન અને જસ્ટિસ મનમોહનની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે લોકોને લમણે તમંચો મુકી તેમને ફિલ્મ જોવા જતાં અટકાવી ન શકાય. બેન્ચે ઉમેેર્યું હતું કે ફિલ્મ દર્શાવવામાં આવે તો લોકો તેને ન જુએ તેવું બને પણ ફિલ્મના વિરોધીઓ તેમનામાં એવો ડર ન બેસાડી શકે કે તેઓ ફિલ્મ જોવા જશે તો સિનેમાઘરો બાળી મુકવામાં આવશે.

કન્નડ સાહિત્ય પરિષદના વકીલ નુલીએ કમલહાસન માફી માંગે તો જ ફિલ્મ રજૂ થઇ શકે તવી રજૂઆત કરતાં બેન્ચે પરખાવ્યું હતું કે માફી માંગવાનો સવાલ જ ક્યાં છે? તમે કાયદો તમારા હાથમાં ન લઇ શકો. તમને નિવેદન સામે વાંધો હોય તો તમે બદનક્ષીનો કેસ માંડો. નુલીએ જણાવ્યું હતું કે કાયદો પોતાના હાથમાં લેનારા કે હિંસા કરનારાને તેઓ ટેકો આપતાં નથી. 

Tags :