India

રાજકારણમાં પૂર્ણવિરામ જેવુ કઇ હોતું નથી : નિવૃત્તિ અંગે મોદીના મનની વાત

By GS TEAM
19 Mar 20263 mins read
રાજકારણમાં પૂર્ણવિરામ જેવુ કઇ હોતું નથી : નિવૃત્તિ અંગે મોદીના મનની વાત

- રાજ્યસભામાં નિવૃત્ત થયેલા સભ્યોને પીએમનું સંબોધન

- સંસદના સત્રમાં ઉગ્ર બની જતા નેતાઓ ફેરવેલ સમયે એકબીજાના વખાણ કરતા જોવા મળ્યા, 59 સભ્યોને વિદાય

- રાજ્યસભામાં પ્રથમ વખત એનડીએ 140ને પાર

નવી દિલ્હી : રાજ્યસભામાંથી નિવૃત થયેલા ૫૯ સભ્યોને વિદાય આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે રાજકારણમાં ફુલ સ્ટોપ કે અંત જેવુ કઇ હોતુ નથી. સંસદમાંથી નિવૃત થઇ રહેલા કેટલાક સભ્યો ફરી પરત આવવા આયોજન કરી રહ્યા છે જ્યારે કેટલાક અનુભવો લઇને સામાજિક જીવનમાં કોઇ ને કોઇ વિશેષ યોગદાન માટે જઇ રહ્યા છે. જે લોકો જઇ રહ્યા છે તેમને કહેવા માગીશ કે રાજનીતિમાં કોઇ જ ફુલસ્ટોપ નથી હોતો. 

વિદાય લઇ રહેલા સભ્યોના વખાણ કરતા મોદીએ કહ્યું હતું કે ભવિષ્ય તમારી રાહ જોઇ રહ્યું છે, તમારો અનુભવ અને યોગદાન રાષ્ટ્ર જીવનમાં જળવાઇ રહેશે. ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થતી હોય છે, અને દરેક સભ્ય એક અનોખી ભૂમિકા નિભાવે છે, આ પ્રકારના કાર્યક્રમો યોજવાથી પક્ષોની મર્યાદાઓથી ઉપર ઉઠીને એકબીજા પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય છે. જે પણ નેતાઓ આ સંસદને છોડીને જઇ રહ્યા છે તેમને કહેવા માગુ છું કે રાજકારણમાં કોઇ પૂર્ણ વિરામ નથી હોતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ પીએમ એચડી દેવગૌડા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને એનસીપીના પ્રમુખ શરદ પવારના ખુબ વખાણ કર્યા હતા.   રાજ્યસભામાંથી અનેક સભ્યોએ વિદાય લીધી છે, ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રિએને કહ્યું હતું કે પ્રિયંકા ચતુર્વેદી, સાકેત ગોખલે, રિતાબ્રતા બેનરજી જેવા યુવા વયના સાંસદો સાથે કામ કરવાની તક મળી, છ વર્ષના કાર્યકાળમાં ત્રણ અધ્યક્ષો એમ. વેંકટા નાયડુ, જગદીપ ધનખડ, સી. પી. રાધાકૃષ્ણ હેઠળ કામ કરવા મળ્યું. દરમિયાન હવે સંસદના બન્ને ગૃહોમાં બે દિવસ રજા રહેશે અને સપ્તાહના અંતે ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે. રાજ્યસભામાં ભાજપની સ્થિતિ મજબૂત થઇ રહી છે, તાજેતરમાં જે ૩૭ બેઠકો ખાલી પડી તેમાં ૧૧ પર ચૂંટણી અને બાકીની બિનહરીફ જાહેર કરાઇ હતી. જેમાં એનડીએને ૨૨ જેટલી બેઠકો મળતા હવે રાજ્યસભામાં એનડીએની સ્થિતિ મજબુત થઇ છે, બહુમતનો આંકડો પણ પાર કરીને એનડીએ હવે ૧૪૦એ પહોંચી ગયું છે. પ્રથમ વખત એવુ થયું છે કે રાજ્યસભામાં એનડીએની કુલ બેઠકો ૧૪૧ થઇ ગઇ છે. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે મે વિચારધારા સાથે ક્યારેય બાંધછોડ નથી કરી.   

દેવગૌડાએ પ્રેમ અમને કર્યો પણ લગ્ન મોદી સાથે કરી લીધા : ખડગે

નવી દિલ્હી : રાજ્યસભામાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિવૃત્ત થઇ રહેલા સાંસદ અને પૂર્વ પીએમ એચડી દેવગૌડા પર એવો કટાક્ષ કર્યો હતો કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હસવા લાગ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે દેવગૌડાએ પ્રેમ અમારી (કોંગ્રેસ)સાથે કર્યો જ્યારે લગ્ન નરેન્દ્ર મોદી સાથે કરી લીધા. હું દેવગોડાને ૫૪ વર્ષથી ઓળખુ છું, તેમની સાથે જ મે કામ કર્યું છે, પરંતુ શું મને ખ્યાલ નથી કે તેમણે પ્રેમ તો અમારી સાથે કર્યો પરંતુ લગ્ન મોદી સાહેબ સાથે કરી લીધા. આ નિવેદન બાદ સંસદમાં લગભગ તમામ સભ્યો હસવા લાગ્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હસતા જોવા મળ્યા હતા.