Get The App

દેશભરમાં કોરોનાના કુલ કેસ 33 લાખને પાર પહોંચ્યા

- કોરોનાના વધુ 75 હજાર કેસ, 1000ના મોત સાથે મૃત્યુઆંક 60 હજાર પાર

Updated: Aug 26th, 2020

GS TEAM


Google News
Google News
દેશભરમાં કોરોનાના કુલ કેસ 33 લાખને પાર પહોંચ્યા 1 - image


- ૨૪ કલાકમાં ૫૬૦૪૪ સાથે કુલ ૨૫ લાખ લોકોને સાજા કરાયા, રિકવરી રેટ ૭૬.૩૦ ટકા, મૃત્યુદર ૧.૮૪ ટકા

- આસામના પૂર્વ મુખ્ય પ્રધાન તરુણ ગોગોઇને કોરોના થતા ક્વોરન્ટાઇન : દેશભરમાં ૩.૭૬ કરોડ ટેસ્ટ કરાયા

નવી દિલ્હી, તા.  26 ઓગષ્ટ 2020, બુધવાર

દેશભરમાં કોરોનાના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે. પહેલી વખત માત્ર ૨૪ કલાકમાં જ કોરોનાના ૭૫ હજારથી વધુ કેસો સામે આવ્યા હતા. જે સાથે હવે કુલ કેસોનો આંકડો ૩૩ લાખને પાર કરી ગયો છે. જ્યારે ૨૪ કલાકમાં જ એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશભરમાં કોરોનાથી મૃત્યુ પામેલાની સંખ્યા વધીને હવે ૬૦૫૪૮ સુધી પહોંચી ગઇ છે. 

પ્રાપ્ત આંકડા અનુસાર કુલ કેસોની સંખ્યા ૩૩૦૦૮૧૭ છે જ્યારે ૨૪ કલાકમાં જ ૭૫૫૧૬ કેસ સામે આવ્યા છે અને આ જ સમયગાળા દરમિયાન વધુ ૧૦૨૫ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે સામેપક્ષે ૨૫૧૬૩૫૩ લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે. ૨૪ કલાકમાં જે ૭૫ હજારથી વધુ કેસ સામે આવ્યા તેની સામે ૫૬૦૪૪ લોકો સાજા થયા છે. મહારાષ્ટ્રમાં કુલ કેસોની સંખ્યા ૭.૧૮ લાખને પાર કરી ગઇ છે. જ્યારે તામિલનાડુમાં પણ આંકડો ૩૯૭૨૧૬એ પહોંચ્યો છે. તેવી જ રીતે કર્ણાટકમાં પણ ત્રણ લાખથી વધુ કેસો નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં પણ આંકડો બે લાખને પાર કરી ગયો છે. 

બીજી તરફ કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે જેટલા વધુ અને વહેલા ટેસ્ટિંગ થશે તેટલા જ વહેલા સારવાર પણ મળી રહેશે. અત્યાર સુધીમાં દેશમાં કુલ ૩.૭૬ કરોડ લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જ્યારે માત્ર ૨૪ કલાકમાં જ કોરોનાના ૮.૨૩ લાખ ટેસ્ટ કરાયા હતા. સરકારનો લક્ષ્ય દરરોજના ૧૦ લાખ ટેસ્ટનો છે કે જેથી ઝડપથી કેસોને ડિટેક્ટ કરીને સારવાર આપી શકાય. સ્વાસ્થ્ય મંત્રાલયે સાથે કહ્યું છે કે હવે દેશમાં રિકવરી રેટ ૭૬ ટકાને પાર કરી ગયો છે અને દિવસે ને દિવસે આ ટકાવારીમાં વધારો પણ થઇ રહ્યો છે. હાલ સાત લાખ એક્ટિવ કેસો છે જ્યારે અનેક લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે. દરમિયાન રિકવરી રેટ સુધરતા મૃત્યુદરમાં ઘટાડો થઇ રહ્યો છે. એક સમયે મૃત્યુદર ત્રણ ટકા હતો તે હવે ૧.૮૪ ટકાએ આવી ગયો છે. 

દરમિયાન આસામના પૂર્વ મુખ્ય પ્રધાન તરુણ ગોગોઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોગોઇએ લોકોને અપીલ કરી છે કે જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તેઓએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેવો. જોકે તેમના પરિવારનો કોરોના ટેસ્ટ કરાયો હતો અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ગોગોઇને ડોક્ટરોએ ઘરે જ પોતાને ક્વોરન્ટાઇન કરવાની સલાહ આપી છે. આ પહેલા મધ્ય પ્રદેશના અને હરિયાણાના મુખ્ય પ્રધાનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. 

Tags :