India

વૈશ્વિક સ્તરે શાળાએ ન જનારા બાળકોની સંખ્યા વધીને 27.2 કરોડ થયાનો અંદાજ

By GS TEAM
15 Jun 20252 mins read
વૈશ્વિક સ્તરે શાળાએ ન જનારા બાળકોની સંખ્યા વધીને 27.2 કરોડ થયાનો અંદાજ

યુનેસ્કોની ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગનો અહેવાલ

પ્રાથમિક સ્કૂલની ઉંમર ધરાવતા ૧૧ ટકા એટલે કે ૭.૮ કરોડ બાળકો શાળાએ જતાં જ નથી

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે શાળાએ ન જનારા બાળકોની સંખ્યા હવે ૨૭.૨ કરોડ થઇ ગઇ હોવાનો અંદાજ છે. આ સંખ્યા છેલ્લા મૂકવામાં આવેલા અંદાજથી ૨.૧ કરોડ વધારે છે તેમ યુનેસ્કોની ગ્લોબલ એજયુકેશન મોનિટરિંગ (જીઇએમ) ટીમે જણાવ્યું છે.

જીઇએમએ પોતાના તાજેતરના રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરી છે કે ૨૦૨પના અંત સુધી દેશો પોતાના રાષ્ટ્રીય લક્ષ્યાંકોની સરખામણીમાં ૭.૫ કરોડથી વધુ પાછળ રહી જશે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ વૃદ્ધિ પાછળના બે કારણ છે. પ્રથમ નવા એનરોલમેન્ટ અને એટેન્ડન્સ ડેટામાં ૮૦ લાખ અથવા ૩૮ ટકાની વૃદ્ધિ થઇ છે. ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં સેકન્ડરી સ્કૂલમાં છોકરીઓના જવા પર પ્રતિબંધ પણ આ વૃદ્ધિમાં ફાળો આપે છે. 

તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે બીજું કારણ સંયુક્ત રાષ્ટ્રના અપડેટ કરવામાં આવેલા વસ્તી અંદાજ ૧.૩ કરોડ અથવા  બાકીના ૬૨ ટકા વૃદ્ધિ માટે જવાબદાર છે. સ્કૂલથી બહારના મોડેલમાં છેલ્લી વખત ઉપયોગમાં લેવામાં આવેલા અંદાજોની સરખામણીમાં ૨૦૨૪ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસનો અંદાજ છે કે ૨૦૨૫માં ૬ થી ૧૭ વર્ષના બાળકોની સંખ્યા ૪.૯ કરોડ વધારે છે.  રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સંઘર્ષોને કારણે શાળાએ ન જતાં બાળકોની સંખ્યા ઓછી કરીને આંકવામાં આવી છે કારણકે સંઘર્ષોને કારણે આંકડા એકત્ર કરવામાં અવરોધ ઉત્પન્ન થાય છે.  વૈશ્વિક વસ્તી અંદાજોમાં પરિવર્તન શાળાની બહાર રહેનારા બાળકોના દર અને વસ્તી અંદાજોને અસર કરે છે પણ તે અસરની માત્રા એનરોલમેન્ટ અને એટેન્ડન્સના આંકડાઓના સ્ત્રોત પર નિર્ભર કરે છે.