પાકિસ્તાને જ આતંકવાદીઓને હથિયાર આપ્યા: NIAની FIRમાં પહલગામ હુમલા અંગે ખુલાસો
Pahalgam Terror Attack: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા મુદ્દે મોટો ખુલાસો થયો છે. એફઆઇઆરમાં ખુલાસો થયો છે કે, આ હુમલામાં આતંકવાદીઓએ પાકિસ્તાની હથિયારોનો ઉપયોગ કર્યો હતો. સરહદ પારથી હેન્ડલર્સે હુમલાને અંજામ આપ્યો હતો. એનઆઇએ હુમલાની યોજના ક્યાં ઘડવામાં આવી હતી, તેની તપાસ કરી રહી છે.
પહલગામ આતંકવાદી હુમલાની એફઆઇઆરમાં ઘણા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. જેમાં પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સે આ હુમલાનું ષડયંત્ર ઘડ્યું હતું. તેણે આતંકવાદીઓને ભારતમાં પહોંચાડવામાં મદદ કરી હતી. હેન્ડલર્સે આતંકવાદીઓને હથિયાર ઉપલબ્ધ કરાવ્યા હતા. આ હુમલામાં પાકિસ્તાની હથિયારોનો ઉપયોગ થયો હતો. આ હુમલા બાદ કુલ આઠ કલમોમાં એફઆઇઆર નોંધાઈ છે. ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 103, 109, 61, 7, 27, 16, 18 અને 20 હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે.
આ પણ વાંચોઃ સરકારે પાકિસ્તાનીઓ માટે ડેડલાઈન વધારી, જાણો હવે ભારત છોડવા તેમની પાસે કેટલો સમય
એનઆઇએ ચીફે મુલાકાત લીધી
પહલગામ આતંકી હુમલાની તપાસ એનઆઇએ કરી રહી છે. એનઆઇએના ચીફ બેસરન ખીણ પહોંચી હુમલાની તપાસ કરી રહ્યા છે. સ્થાનિકોના નિવેદનો લેવાઈ રહ્યા છે. તેમજ સંદિગ્ધોની પૂછપરછ પણ થઈ રહી છે.
સળંગ સાતમા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન
આ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે. એકબાજુ પાકિસ્તાન વિશ્વ સમક્ષ ચિંતા વ્યક્ત કરી રહ્યું છે કે, ભારત ગમે-ત્યારે તેના પર યુદ્ધ કરશે. જ્યારે બીજી બાજુ પાકિસ્તાની સેના સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે. તેણે ઉરી અને અખનૂર સહિતના વિસ્તારોમાં ગોળીબાર શરુ કર્યા છે. ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
પાકિસ્તાની સેનાના હથિયારોનો ઉપયોગ આતંક માટે
એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, પાકિસ્તાનની સેનાના હથિયારોનો ઉપયોગ અવારનવાર ભારત વિરુદ્ધ આતંક ફેલાવવા માટે થયો છે. જે પાકિસ્તાન આતંકવાદને સમર્થન અને પોષી રહ્યો હોવાની ખાતરી કરે છે. આતંકવાદી હુમલામાં આતંકીઓની તસવીરોમાં તેમની પાસે જોવા મળેલા હથિયારો પાકિસ્તાની સેનાના હોવાનો દાવો કરવામાં આવ્યો છે.