'હવે હુમલો થશે તો ભયાનક પરિણામ ભોગવવા પડશે', અમેરિકાની ધરતીથી પાકિસ્તાનને ભારતની ચેતવણી
Shashi Tharoor News | ઓપરેશન સિંદૂરની સફળતા અને પહલગામ હુમલા પાછળના પાકિસ્તાન કનેક્શન વિશેની માહિતી વિશ્વને આપવામાં આવી રહી છે. ભારત સરકારે આ કાર્ય માટે 7 પ્રતિનિધિમંડળો તૈયાર કર્યા છે. તમામ પક્ષોના 51 નેતાઓ અને 85 રાજદૂતો 32 અલગ અલગ દેશોની મુલાકાત લઈ રહ્યા છે. આ સંદર્ભમાં, કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચ્યું હતું.
9/11નો કર્યો ઉલ્લેખ
અમેરિકામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં શશિ થરૂરે એ જણાવ્યું કે ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કેવી રીતે કર્યો. તેમણે આતંકવાદ સામે સમગ્ર વિશ્વને એક થવા હાકલ કરી. 9/11નો ઉલ્લેખ કરતા શશિ થરૂરે કહ્યું કે આપણે એવા શહેરમાં છીએ જે ખુદ આતંકવાદી હુમલાનો ભોગ બન્યું છે. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. શશી થરુરે પાકિસ્તાનને કડક શબ્દોમાં અમેરિકાની ધરતી પરથી ચેતવતાં કહી દીધું હતું કે હવે આવા કોઈપણ પ્રકારના હુમલા સાંખી નહીં લેવામાં આવે અને તેના ભયાનક પરિણામો પાકિસ્તાને ભોગવવા પડશે.
20 વર્ષ પહેલાં ન્યૂયોર્કમાં પણ આતંકવાદી હુમલો થયો હતો: થરૂર
9/11 સ્મારક પર શ્રદ્ધાંજલિ આપતા કોંગ્રેસના સાંસદ શશી થરૂરે જણાવ્યું હતું કે, "અમે 9/11 સ્મારક પર એ સંદેશ આપવા ગયા હતા કે 20 વર્ષ પહેલાં ન્યૂયોર્કમાં પણ આતંકવાદી હુમલાનો સામનો કરવો પડ્યો હતો અને અમે પણ આવો જ અનુભવ કર્યો છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ સમજે કે એકતાની જરૂર છે. આપણે વિશ્વને અમેરિકાની જેમ સંકલ્પ બતાવવાની જરૂર છે કે આપણે આવા આતંકવાદી હુમલાઓ વિરુદ્ધ છીએ અને અમે કાર્યવાહી કરીશું."
ધર્મના નામે લોકોને મારવામાં આવ્યા...
શશિ થરૂરે વધુમાં કહ્યું કે, પહલગામમાં જે રીતે ધર્મના નામે લોકોને મારવામાં આવ્યા, તેની પાછળનો હેતુ દેશમાં હિન્દુ-મુસ્લિમ સૌહાર્દને બગાડવાનો હતો. અમે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત ક્યારેય આતંકવાદને સહન કરશે નહીં અને તેનો યોગ્ય જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે શશિ થરૂર ઉપરાંત આ પ્રતિનિધિમંડળમાં ભાજપના શશાંક મણિ ત્રિપાઠી, ભુવનેશ્વર કલિતા અને તેજસ્વી સૂર્યા તેમજ એલજેપી (રામ વિલાસ)ના શાંભવી ચૌધરી, ટીડીપીના જીએમ હરીશ બાલયોગી, શિવસેનાના મિલિંદ દેવરા, જેએમએમના પૂર્વ અહેમદ અહેમદ સરફરાજ સિંહ અને જેએમએમના ભૂતપૂર્વ અહેમદ સરફરાજ સિંહ સામેલ છે.