અસ્થિ વિસર્જન માટે જતા પરિવારનો ગોઝારો અકસ્માત, ઊભી ટ્રકમાં કાર ઘૂસી જતાં 6ના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Uttar pradesh Accident : ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એક પરિવારના સભ્યો કારમાં સવાર થઇને પરિવારના એક સભ્યના અસ્થિ વિસર્જન માટે હરિયાણાથી હરિદ્વાર જઇ રહ્યા હતા. આ દરમિયાન રોડના કિનારે ઊભેલી ટ્રકના પાછળના ભાગમાં કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના લગભગ છ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.
મૃતકોમાં બે મહિલા સામેલ
ઘટનાની જાણ થતાં જ લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ મોટાભાગના લોકોને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈને બચાવી ના શકાયા. આ ઘટના મુજફ્ફરનગરના તિતાવી પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. મૃતકોમાં બે મહિલા પણ સામેલ છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી અનુસાર જ્યારે કારચાલક પૂરપાટ ગતિએ હાઈવે પર જઈ રહ્યો હતો તે સમયે અચાનક જ ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર હાઈવે પર ઊભી ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. જેના બાદ ધડાકાભેર ટક્કર થતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. હાલમાં પોલીસે તમામ મૃતકોના મૃતદેહો કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.








