India

POSHની કોઈ પણ ફરિયાદ મળી નહોતી: ધર્મ પરિવર્તન અને યૌન શોષણ કેસમાં TCSની પ્રતિક્રિયા

By GS TEAM
18 Apr 20262 mins read
TukuTouch Logo
TCS CEO કે. કૃતિવાસને નાસિક યુનિટ વિવાદ પર નિવેદન આપતા કહ્યું કે પીડિતોએ કંપનીના ઇન્ટરનલ પોર્ટલ પર ફરિયાદ કરી નહોતી. જાણો શું છે સમગ્ર મામલો.

Summarized by AI; it may make mistakes. Check important info

POSHની કોઈ પણ ફરિયાદ મળી નહોતી: ધર્મ પરિવર્તન અને યૌન શોષણ કેસમાં TCSની પ્રતિક્રિયા
 Photo from X

TCS Controversy : ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ(TCS)ના મહારાષ્ટ્ર સ્થિત નાસિક યુનિટમાં જાતીય સતામણી અને ધાર્મિક ઉત્પીડનના ગંભીર આરોપો બાદ કંપનીએ સત્તાવાર સ્પષ્ટતા કરી છે. TCSના CEO અને MD કે. કૃતિવાસને જણાવ્યું કે, જે કર્મચારીઓએ પોલીસમાં FIR નોંધાવી છે. તેઓએ કંપનીની આંતરિક એથિક્સ કમિટી અથવા POSH (Prevention of Sexual Harassment) ચેનલ પર ક્યારેય કોઈ ફરિયાદ કરી નહોતી.

કંપનીની પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું?

TCS દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ સિસ્ટમ અને રૅકોર્ડની શરૂઆતી તપાસ દર્શાવે છે કે જે પ્રકારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, તેવી કોઈ ફરિયાદ કંપનીના પોર્ટલ કે હેલ્પલાઇન પર મળી નથી. HR મેનેજર અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, મીડિયામાં જેમને HR મેનેજર તરીકે દર્શાવવામાં આવી છે તે તે નિદા ખાન ખરેખર એક પ્રોસેસ એસોસિએટ હતી. તેની પાસે ભરતી કે લીડરશીપની કોઈ જવાબદારી નહોતી. નાસિક યુનિટ બંધ થવાની અફવાઓને ફગાવતાં કંપનીએ કહ્યું કે ત્યાં કામગીરી અવિરત ચાલુ છે.

આ પણ વાંચો: સાયબર ફ્રોડ રોકવા RBI એ નવા નિયમોનો મુસદ્દો તૈયાર કર્યો, લોકો પાસે પ્રતિભાવ માગતા મજાક ઊડી

શું છે સમગ્ર મામલો?

નાસિક BPO યુનિટમાં કામ કરતાં કેટલાક કર્મચારીઓએ સાથી કર્મચારીઓના એક જૂથ પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે અત્યાર સુધી 9 FIR નોંધવામાં આવી છે. જેમાં જાતીય સતામણી, હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન, બળજબરીથી ધર્મ પરિવર્તનનો પ્રયાસ અને માંસાહારી ખોરાક ખાવા માટે દબાણ કરવું જેવા આરોપોનો સમાવેશ થાય છે. આ કેસમાં અત્યાર સુધી 1 મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, કેટલાક આરોપીઓ સિનિયર પદો પર હતા અને પદનો દુરુપયોગ કરીને સહકર્મીઓને પરેશાન કરતા હતા.

ટાટા ગ્રૂપનું વલણ

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને આ ઘટનાને અત્યંત ચિંતાજનક અને પરેશાન કરનારી ગણાવી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, બળજબરી કે ગેરરીતિના મામલામાં તેમની ઝીરો-ટોલરન્સ નીતિ છે અને તેઓ તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. જરૂરી તમામ તપાસમાં ન માત્ર સહયોગ અપાશે પરંતુ કર્મચારીઓને પણ નિર્દેશ અપાશે કે જો હાલના પણ કોઈ કર્મચારી પીડિત હોય તો પોલીસ કે કંપની તંત્રને ફરિયાદ કરી શકે છે.