'ટેરિફ અને GST સુધારાને એકબીજાથી કોઈ લેવા દેવા નથી..', નાણામંત્રી સીતારમણે કરી ચોખવટ
Nirmala Sitharaman on GST Reforms : 56મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી કે તાજેતરના GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું, 'ટેરિફમાં ઉથલપાથલ એ GST સુધારાને અસર કરતો મુદ્દો નથી. અમે દોઢ વર્ષથી તેના પર કામ કરી રહ્યા છીએ.'
નાણામંત્રીએ કરી ચોખવટ
નાણામંત્રીએ કહ્યું કે લાંબા સમયથી મંત્રીઓનું એક જૂથ વીમા વગેરેના દરો પર કામ કરી રહ્યું છે. તેમાંથી કોઈનો ટેરિફ સાથે કોઈ સંબંધ નથી. GST આવકમાં કથિત નુકસાનના પ્રશ્ન પર, નાણામંત્રીએ કહ્યું, 'વિવિધ આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે - આટલું નુકસાન, આટલું નુકસાન. હું આ ચર્ચામાં સામેલ નહીં થાઉં કેમ ક કોઈએ આટલું કહ્યું, કોઈએ આટલું કહ્યું. અમારી પાસે અમારો પોતાનો ડેટા છે.'
GST કાઉન્સિલની બેઠકમાં ઘણા નિર્ણયો
ઉલ્લેખનીય છે કે 56મી GST કાઉન્સિલની બેઠકમાં નેક્સ્ટ-જનરેશન GST સુધારાઓ અંગે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં દરમાં ઘટાડો, પ્રક્રિયામાં સુધારા અને ઉચ્ચ કક્ષાના ઉત્પાદનોને 40% સ્લેબમાં રાખવાનો નિર્ણય શામેલ છે.
રોજિંદા જીવન જરૂરી વસ્તુઓ સસ્તી થશે
કેન્દ્ર સરકારે દિવાળી પહેલા GST સુધારાની જાહેરાત કરી છે, જેના હેઠળ ઘણી રોજિંદા જીવન જરૂરી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. હવે હેર ઓઈલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટોયલેટ સાબુ, ટૂથબ્રશ અને શેવિંગ ક્રીમ પર GST 18% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, માખણ, ઘી, ચીઝ, ડેરી સ્પ્રેડ, પેક્ડ નમકીન, ભુજિયા, વાસણો, બાળકો માટે ખોરાક આપતી બોટલ અને નેપકિન્સ, ક્લિનિકલ ડાયપર અને સીવણ મશીન પરનો ટેક્સ પણ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
બે ટેક્સ સ્લેબ નાબૂદ કરવાની મંજૂરી
નાણામંત્રીએ કહ્યું કે GST કાઉન્સિલે GST દરોને તર્કસંગત બનાવવાને મંજૂરી આપી છે. કાઉન્સિલે 12% અને 28% ના ટેક્સ સ્લેબ નાબૂદ કરવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે GST દરમાં ફેરફારના ભાગ રૂપે કેટલીક પસંદગીની વસ્તુઓ પર 40% ટેક્સ લાદવાનો નિર્ણય લીધો છે. તેમાં સુપર લક્ઝરી ગુડ્સ, પાન મસાલા, સિગારેટ, ગુટખા, ચાવવાની તમાકુ, ઝરદા, ખાંડ સાથે કાર્બોનેટેડ પીણાં અને વ્યક્તિગત ઉપયોગ માટે વિમાનનો સમાવેશ થાય છે.