'કોઈ આશંકા હોય તો અમેરિકા-રશિયાને પૂછી લેજો', ભારત આવેલા અફઘાનિસ્તાનના વિદેશમંત્રીની પાકિસ્તાનને ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Afghanistan-India Relations: તાલિબાન શાસક અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે છે અને શુક્રવારે (10 ઑક્ટોબર) તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે બંધ દરવાજા પાછળ થઈ હતી. આ બેઠક દરમિયાન તાલિબાન મંત્રીએ અમીર ખાન મુત્તાકીએ કહ્યું હતું કે, 'અફઘાન લોકોની ધીરજ અને હિંમતને પડકારવી જોઈએ નહીં. જો કોઈને શંકા હોય, તો તેમણે બ્રિટન, રશિયા અને અમેરિકાને પૂછવું જોઈએ.'
વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાત બાદ એક પત્રકાર પરિષદમાં અમીર ખાન મુત્તાકીએ કહ્યું કે, 'એસ. જયશંકર સાથેની વાતચીત સાર્થક અને દૂરદર્શી રહી. બંને પક્ષો વેપાર, વિકાસ અને સુરક્ષાના ક્ષેત્રોમાં સહયોગને વધુ વિસ્તારવા સંમત થયા. અફઘાનિસ્તાનમાં વિકાસ પ્રોજેક્ટ્સ ચાલુ રાખવા અને વિસ્તૃત કરવાના ભારતના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ.' આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં તાજેતરના ભૂકંપ અને પૂર દરમિયાન ભારતની માનવતાવાદી સહાય માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો.
પાકિસ્તાનને સીધી ધમકી!
સુરક્ષા અંગે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ જણાવ્યું હતું કે, 'અમારી સરકાર પ્રાદેશિક સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે સુરક્ષા સહયોગની વિગતવાર ચર્ચા કરી. અમે અફઘાન જમીનનો ઉપયોગ કોઈપણ દેશ સામે થવા દઈશું નહીં. બંને પક્ષો આ મુદ્દા પર સંપર્કમાં રહેશે.'
પાકિસ્તાન પર આડકતરી વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ સીમાપાર કાર્યવાહીથી દૂર રહેવાની ચેતવણી આપી. તેમણે કહ્યું કે, 'આવી વ્યૂહનીતિ કોઈ સમસ્યાનો ઉકેલ લાવશે નહીં. અફઘાન લોકોની ધીરજ અને હિંમતને પડકારવી જોઈએ નહીં. જો કોઈને શંકા હોય, તો તેમણે બ્રિટન, રશિયા અને અમેરિકાને પૂછવું જોઈએ.'
જો કે, આ નિવેદન પછી મુત્તાકીએ પોતાનું વલણ નરમ પાડતાં કહ્યું કે, 'અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાન બંને સાથે શાંતિપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધો ઇચ્છે છે.' સૂત્રોના જણાવ્યાનુસાર, એસ. જયશંકર અને અમીર ખાન મુત્તાકી વચ્ચેની બેઠકમાં મુખ્યત્ત્વે ભારતની વિકાસ સહાય અને અફઘાનિસ્તાનમાં ભાવિ સુરક્ષા સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભારતે છેલ્લા બે દાયકામાં અફઘાનિસ્તાનમાં પુનર્નિર્માણ પ્રોજેક્ટ્સમાં 3 અરબ ડૉલરથી વધુનું રોકાણ કર્યું છે, જેમાં રસ્તાઓ, શાળાઓ, હૉસ્પિટલો અને સંસદ ભવનનો સમાવેશ થાય છે.









