Get The App

NIA ને તહવ્વુર રાણાની 18 દિવસની કસ્ટડી મળી, 26/11 આતંકી હુમલાના અનેક રહસ્યોનો થશે પર્દાફાશ

Updated: Apr 11th, 2025

GS TEAM


Google News
Google News
NIA ને તહવ્વુર રાણાની 18 દિવસની કસ્ટડી મળી, 26/11 આતંકી હુમલાના અનેક રહસ્યોનો થશે પર્દાફાશ 1 - image

Tahawwur Rana: મુંબઈમાં 26-11ના આતંકી હુમલાના મહત્વના આરોપીઓમાંના એક તહવ્વુર રાણાને આખરે અમેરિકાથી 17 વર્ષે ભારત ખેંચી લાવવામાં અને દેશના ન્યાયતંત્ર સામે ઊભો કરવામાં NIA (National Investigation Agency)ને સફળતા મળી છે. પાકિસ્તાની મૂળના 64 વર્ષીય કેનેડિયન નાગરિકને અમેરિકાથી વિશેષ વિમાનમાં ગુરૂવારે સાંજે 6:30 કલાકે નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લવાયો હતો, જ્યાં NIAએ સત્તાવાર રીતે તેની ધરપકડ કરી હતી અને પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કર્યો હતો. 

NIAની કસ્ટડીમાં તવ્વહુર રાણા

કોર્ટે શુક્રવારે રાણાને 18 દિવસની NIA કસ્ટડીમાં મોકલ્યો છે, ત્યારબાદ તેને દિલ્હી પોલીસના વિશેષ SWUT (સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેક્ટિક્સ) અને અન્ય સુરક્ષાકર્મીની ભારે સુરક્ષાવાળા કાફલામાં પટિયાલા હાઉસ કોર્ટથી NIA ના મુખ્ય કાર્યાલયે લાવવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, રાણાને અહીંના CGO કોમ્પ્લેક્સ ખાતે આતંકવાદ વિરોધી એજન્સીના મુખ્યાલયની અંદર એક હાઈ સિક્યોરિટી સેલમાં રાખવામાં આવશે.  રાણા 18 દિવસ સુધી NIA કસ્ટડીમાં રહેશે, જે દરમિયાન એજન્સી 2008ના ઘાતક હુમલા પાછળના સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવા માટે તેમની વિગતવાર પૂછપરછ કરશે, જેમાં કુલ 166 લોકોની હત્યા કરાઈ હતી અને 238 થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચોઃ 26/11 મુંબઈ હુમલાનો આતંકી તહવ્વુર રાણાને પટિયાલા કોર્ટ લાવવાની તૈયારી, NIA આજે જ કરશે પૂછપરછ

બિઝનેસ જેટમાં લવાયો 26/11 નો આતંકવાદી

મુંબઈમાં વર્ષ 2008ના 26 નવેમ્બરે થયેલા આતંકી હુમલાનું કાવતરૂ ઘડવામાં તહવ્વુર રાણાની મહત્ત્વની ભૂમિકા હતી. જોકે, અમેરિકાએ 2009માં ડેન્માર્કમાં એક આતંકી હુમલામાં તેની ધરપકડ કરી હતી. ત્યાર પછી ભારતે રાણાને ભારત લાવવા માટે વર્ષો સુધી કાયદાકીય લડત લડી હતી. ભારતમાં પ્રત્યાર્પણ રોકવા માટેની તમામ અરજીઓ અમેરિકન કોર્ટે ફગાવી દીધા પછી અંતે રહસ્યમય રીતે રાણાને અમેરિકાના લોસ એન્જેલસથી ભાડાંના એક સુપર મીડ-સાઈઝ બિઝનેસ જેટમાં નવી દિલ્હી લવાયો હતો.

વિયેના સ્થિત એક એરક્રાફ્ટ ચાર્ટર સર્વિસના ભાડાના વિમાને તહવ્વુર રાણા સાથે NIA અને NSG કમાન્ડોની ટીમ સાથે મિયામીથી બુધવારે બપોરે ઉડ્ડયન કર્યું હતું અને રોમાનિયાની રાજધાની બુખારેસ્ટમાં લગભગ 11 કલાકનું રોકાણ કર્યું હતું. વિમાને ગુરૂવારે સવારે બુખારેસ્ટથી વિદાય લીધી અને સાંજે 6:22 કલાકે દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ કર્યું હતું. તહવ્વુર રાણા પાલમ એરપોર્ટ પર પહોંચી ગયો હોવાના સમાચાર મળતા જ વરિષ્ઠ વકીલ દયાન કૃષ્ણન અને વિશેષ સરકારી વકીલ નરેન્દ્ર માન પટિયાલા હાઉસ કોર્ટ પહોંચ્યા હતા. આ સમયે કોર્ટ પરિસરને સંપૂર્ણપણે ખાલી કરી દેવાયું હતું. વિશેષ NIA જજ ચંદેર જિત સિંહે રાણાના કેસની સુનાવણી કરી હતી. 

આ પણ વાંચોઃ તહવ્વુર રાણાને કસાબની જેમ બિરયાની કેમ? તાત્કાલિક ફાંસી આપો... 26/11નો 'હીરો' ભડક્યો

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રત્યાર્પણની કરી હતી જાહેરાત

તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની સૌપ્રથમ જાહેરાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી 2025માં અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે કરી હતી. ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અમે અત્યંત હિંસક માણસને ભારતને સોંપી રહ્યા છીએ, જ્યાં તે તાત્કાલિક ભારતના ન્યાયતંત્રનો સામનો કરશે. ટ્રમ્પે કહ્યું કે, અમારા તંત્રે રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. રાણા લોસ એન્જેલસમાં મેટ્રોપોલીટન ડીટેન્શન સેન્ટરમાં કેદ હતો.

મુંબઈના 26/11 ના આતંકી હુમલાના કેસમાં અજમલ કસાબ અને ઝૈબુદ્દીન અંસારી ઉર્ફે અબુ જુંદાલ પછી તહવ્વુર રાણા આ કેસમાં ભારતમાં જેલ જનારો ત્રીજો આરોપી બન્યો છે. NIA ના અધિકારીઓએ જણાવ્યું કે, મુંબઈમાં 26/11 ના આતંકી હુમલા પહેલાં તહવ્વુર રાણાએ 13 થી 21 નવેમ્બર વચ્ચે પત્ની સમરેઝ રાણા અખ્તર સાથે ઉત્તર પ્રદેશમાં હાપુર અને આગ્રા, દિલ્હી, કેરળમાં કોચી, ગુજરાતમાં અમદવાદ અને મહારાષ્ટ્રમાં મુંબઈની મુલાકાત લીધી હતી.

NIA ની તપાસમાં ખુલશે અનેક રાઝ

તહવ્વુર રાણા હવે ભારતીય ન્યાયતંત્રનો સામનો કરશે અને તેની પૂછપરછમાં મુંબઈમાં 2008ના આતંકી હુમલાના કાવતરામાં પાકિસ્તાન સરકારની ભૂમિકા બહાર આવે તેવી સંભાવના છે. પૂછપરછમાં ઉત્તર અને દક્ષિણ ભારતમાં તેના પ્રવાસની કેટલીક મહત્ત્વપૂર્ણ વિગતો મળી શકે છે. દેશના અન્ય સ્થળોની મુલાકાત પાછળ ત્યાં પણ આતંકી હુમલાનું કાવતરું હોવાની આશંકા છે.

Tags :