Get The App

રખડતા શ્વાનના મુદ્દે તમામ રાજ્યોની સુનાવણી પૂર્ણ, સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
રખડતા શ્વાનના મુદ્દે તમામ રાજ્યોની સુનાવણી પૂર્ણ, સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો 1 - image


Supreme Court: સુપ્રીમ કોર્ટે ગુરુવારે રખડતા શ્વાનના મામલે અગાઉ આપવામાં આવેલા આદેશોમાં ફેરફારની માંગ કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજરિયાની ખંડપીઠે એમિકસ ક્યુરી (ન્યાય મિત્ર) ગૌરવ અગ્રવાલની દલીલો સાંભળ્યા બાદ આ નિર્ણય લીધો હતો. તેમણે પંજાબ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યો દ્વારા લેવામાં આવેલા પગલાંની માહિતી કોર્ટને આપી હતી.

ખંડપીઠે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના વકીલની દલીલો પણ સાંભળી હતી. આ દલીલો 7 નવેમ્બર, 2025ના તે આદેશના પાલન અંગે હતી, જેમાં ઓથોરિટીને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી રખડતા પશુઓને હટાવવા અને રસ્તાની બાજુમાં જાળી લગાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

કોર્ટે AWBI ને શું કહ્યું?

સર્વોચ્ચ અદાલતે ભારતીય પશુ કલ્યાણ બોર્ડ (AWBI) ને જણાવ્યું કે, તે એવા બિન-સરકારી સંગઠનો (NGOs) ની અરજીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરે જેઓ પશુ આશ્રયસ્થાન અથવા એનિમલ બર્થ કંટ્રોલ (ABC) કેન્દ્ર ખોલવાની મંજૂરી માંગી રહ્યા છે.

ખંડપીઠે કહ્યું, "તમે કાં તો અરજી સ્વીકારો અથવા નકારો, પણ જે કરો તે ઝડપથી કરો."

વકીલે જણાવ્યું કે 7 નવેમ્બરના આદેશ બાદ આવા સંગઠનોની અરજીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.

નિર્દેશોનું પાલન ન થતા રાજ્યો પર નારાજગી

કોર્ટે બુધવારે રખડતા શ્વાનની નસબંધી ન કરવા, ડોગ પાઉન્ડ ન બનાવવા અને શૈક્ષણિક સંસ્થાઓના પરિસરમાંથી શ્વાનને ન હટાવવા બદલ રાજ્યો પર કડક નારાજગી વ્યક્ત કરી હતી. બેન્ચે કહ્યું કે, "આ બધું હવામાં મહેલ બનાવવા જેવું છે. એવું લાગે છે કે જાણે તેઓ માત્ર વાર્તાઓ સાંભળી રહ્યા હોય."

આસામના આંકડા પર આશ્ચર્ય

કોર્ટે આસામના આંકડા જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. રાજ્યમાં 2024માં શ્વાન કરડવાના 1.66 લાખ કેસ નોંધાયા હતા, જ્યારે ત્યાં માત્ર એક જ ડોગ સેન્ટર છે. જાન્યુઆરી 2025માં જ 20,900 લોકોને શ્વાન કરડ્યા હતા, જે અત્યંત ચિંતાજનક છે.

શું શ્વાનને ખવડાવનારા જવાબદાર રહેશે?

13 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે તે શ્વાન કરડવાની ઘટનાઓમાં રાજ્યો પાસેથી 'ભારે વળતર' અપાવવા અને શ્વાનને ખવડાવનારા (Feeders) લોકોને જવાબદાર ઠેરવવા અંગે વિચાર કરી શકે છે.

7 નવેમ્બરનો મુખ્ય નિર્દેશ

શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને રેલવે સ્ટેશન જેવી જાહેર જગ્યાઓ પર શ્વાન કરડવાની ઘટનાઓમાં થયેલા વધારાને જોતા કોર્ટે આદેશ આપ્યો હતો કે:

નસબંધી અને રસીકરણ બાદ રખડતા શ્વાનને તરત જ નિર્ધારિત આશ્રયસ્થાનોમાં મોકલવામાં આવે.

પકડાયેલા શ્વાનને ફરીથી જૂની જગ્યાએ છોડવામાં આવશે નહીં.

નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પરથી તમામ રખડતા પશુઓને હટાવવામાં આવે.