Get The App

'શું વિપક્ષના નેતા માત્ર દેખાડા પૂરતા..', ચૂંટણી કમિશનરોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
'શું વિપક્ષના નેતા માત્ર દેખાડા પૂરતા..', ચૂંટણી કમિશનરોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી 1 - image

Supreme Court On CEC Appointment: દેશમાં ચૂંટણી પંચના સર્વોચ્ચ હોદ્દાઓ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરો (EC)ની નિમણૂક પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના કાયદા પર સવાલો ઉભા કર્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે વર્તમાન પસંદગી પ્રણાલીમાં કારોબારીનો પ્રભાવ એટલો વધારે દેખાય છે કે તે ચૂંટણી પંચની સ્વતંત્રતા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે. આ ટિપ્પણી તે સમયે આવી જ્યારે જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની સુપ્રીમ કોર્ટની બેન્ચ 2023ના તે કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી, જેના હેઠળ CEC અને ECની નિમણૂક પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. સુનાવણી હજુ પૂર્ણ થઈ નથી અને આગામી તારીખે આ મામલે વધુ વિચાર કરવામાં આવશે.

કોઈ સ્વતંત્ર સભ્યનો સમાવેશ કેમ કરવામાં આવ્યો નથી?

વર્તમાન કાયદા મુજબ પસંદગી સમિતિમાં વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાન દ્વારા નામાંકિત એક કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે. આ માળખા પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમાં કોઈ સ્વતંત્ર સભ્યનો સમાવેશ કેમ કરવામાં આવ્યો નથી. કોર્ટે ટિપ્પણી કરી કે આ વ્યવસ્થામાં નિર્ણય લેવાની પ્રક્રિયા લગભગ અગાઉથી નક્કી થઈ જાય છે, કારણ કે બે સભ્યો સરકાર સાથે જોડાયેલા હોય છે અને ત્રીજા સભ્યનો પ્રભાવ મર્યાદિત રહી જાય છે.

'વિપક્ષના નેતા માત્ર ઔપચારિક ભૂમિકામાં'

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે પસંદગી સમિતિમાં વિરોધ પક્ષના નેતાની ભૂમિકા માત્ર પ્રતીકાત્મક બનીને રહી જાય છે. કોર્ટે પ્રશ્ન કર્યો કે જો અંતિમ નિર્ણય 2:1 ના ગુણોત્તરમાં અગાઉથી નક્કી હોય, તો આ સમિતિમાં સંતુલનનો દાવો કેટલો વાસ્તવિક છે. કોર્ટે એ પણ પૂછ્યું કે શું કોઈ કેબિનેટ મંત્રી પાસેથી એવી અપેક્ષા રાખી શકાય કે તે વડાપ્રધાનના નિર્ણયની વિરુદ્ધ જશે.

'ચૂંટણી પંચની સ્વતંત્રતા અનિવાર્ય'

સુનાવણી દરમિયાન જસ્ટિસ દત્તાએ કહ્યું કે માત્ર સ્વતંત્રતાનો દાવો પૂરતો નથી, પરંતુ ચૂંટણી પંચની સ્વતંત્રતા વાસ્તવિક અને સ્પષ્ટ રીતે દેખાવી પણ જોઈએ. કોર્ટે ફરીથી ટાંક્યું હતું કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી એ બંધારણના મૂળભૂત માળખાનો ભાગ છે અને તેના માટે ચૂંટણી પંચની સ્વતંત્રતા અનિવાર્ય છે.

સરકારે પક્ષ રાખ્યો, કાયદા પર સંસદનો અધિકાર

કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ આર. વેંકટરમણીએ કાયદાનો બચાવ કરતા કહ્યું કે સંસદને કાયદો બનાવવાનો સંપૂર્ણ અધિકાર છે અને તેને માત્ર સંભવિત આશંકાઓના આધારે કોર્ટમાં રદ કરી શકાય નહીં. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશો કામચલાઉ વ્યવસ્થા હતી, જે સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાને અવરોધી શકે નહીં. સરકારના વકીલે એવી પણ દલીલ કરી હતી કે જ્યાં સુધી એ સાબિત ન થાય કે ચૂંટણી પંચ ખરેખર પક્ષપાતી છે, ત્યાં સુધી કાયદાને ગેરબંધારણીય ઠેરવી શકાય નહીં.

'અમારું કામ નીતિ બનાવવાનું નથી પણ બંધારણ અનુરૂપ છે કે નહીં તે જોવાનું'

કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે એમ નથી કહી રહી કે પસંદગી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશને જ સામેલ કરવામાં આવે, પરંતુ સવાલ એ ચોક્કસ છે કે કોઈ પણ સ્વતંત્ર સભ્યને કેમ રાખવામાં આવ્યો નથી. અન્ય સંસ્થાઓમાં, જેમ કે તપાસ એજન્સીઓના વડાઓની નિમણૂકમાં સ્વતંત્ર સભ્યોનો સમાવેશ થાય છે, તો ચૂંટણી પંચ જેવી મહત્વની સંસ્થામાં આવું કેમ કરવામાં આવ્યું નથી. પીઠે એ પણ સ્પષ્ટ કર્યું કે તેનું કામ નીતિ બનાવવાનું નથી, પરંતુ એ જોવાનું છે કે 2023નો કાયદો બંધારણની કલમ 14 અને 324 ને અનુરૂપ છે કે નહીં.

કેસ મોટી બેંચને મોકલવા પર મંથન

સુનાવણી દરમિયાન આ કેસને બંધારણીય બેંચ (પાંચ જજોની મોટી બેંચ) ને મોકલવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી, કારણ કે આ કલમ 14 અને 324ના અર્થઘટન સાથે જોડાયેલો મહત્વપૂર્ણ બંધારણીય પ્રશ્ન છે. જો કે આ અંગે તમામ પક્ષો વચ્ચે સહમતિ સધાઈ શકી નથી અને સુનાવણી આગળ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

2023માં પ્રક્રિયામાં કરવામાં આવ્યો હતો સુધારો

મહત્વનું છે કે 2023માં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે વચગાળાની વ્યવસ્થા હેઠળ નિમણૂકોમાં વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ બાદમાં સંસદે નવો કાયદો પસાર કરીને આ સમિતિમાંથી મુખ્ય ન્યાયાધીશને હટાવીને એક કેન્દ્રીય મંત્રીનો સમાવેશ કર્યો હતો.