આસામ પોલીસ પર 171 ફેક એન્કાઉન્ટરનો આરોપ, સુપ્રીમ કોર્ટે માનવ અધિકાર પંચને સોંપી તપાસ
Supreme Court on Assam False Police Encounters: સુપ્રીમ કોર્ટે મંગળવારે આસામમાં મે 2021થી ઓગસ્ટ 2022 દરમિયાન થયેલી 171 પોલીસ એન્કાઉન્ટર્સ અંગે ચિંતા વ્યક્ત કરીને આ મુદ્દો ‘ખૂબ ગંભીર’ ગણાવ્યો. કોર્ટે જણાવ્યું કે પોલીસ એન્કાઉન્ટરને પડકારતી અરજીઓ ફગાવી ના શકાય. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંઘની બે જજની બેન્ચે આસામ સરકાર પાસેથી આ એન્કાઉન્ટરની વિગતવાર માહિતી માંગી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે, ‘આ ખૂબ જ, ખૂબ જ ગંભીર મુદ્દો છે. 171 ઘટના ચિંતાજનક છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ફેક પોલીસ એન્કાઉન્ટરના દાવાની તપાસ કરવાનો આસામ માનવ અધિકાર પંચને નિર્દેશ કર્યો હતો.
ગુવાહાટી હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી
આ બેન્ચ અરજદાર આરિફ એમડી યેસીન જવાદ્દર દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરી રહી હતી, જેમનું પ્રતિનિધિત્વ એડવોકેટ પ્રશાંત ભૂષણે કર્યું હતું. જાન્યુઆરી 2023માં ગુવાહાટી હાઈકોર્ટે આસામ પોલીસ દ્વારા કરાયેલા એન્કાઉન્ટરને લગતી જનહિત અરજી ફગાવી દીધી હતી. આ કારણસર તેમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. આ સુનાવણીમાં ભૂષણે દલીલ કરી કે આસામ પોલીસે સુપ્રીમ કોર્ટના 2014ના ચુકાદામાં આપેલી માર્ગદર્શિકાઓનું પાલન કર્યું નથી. આસામમાં ચોક્કસ સમયગાળામાં આવા અનેક એન્કાઉન્ટર થયા હતા.
આ અરજી પ્રિમેચ્યોર કહીને ફગાવી ના શકાયઃ સુપ્રીમ કોર્ટ
ગુવાહાટી હાઈકોર્ટે ઉપરોક્ત અરજી ફગાવતી વખતે આપેલા આદેશમાં આસામ સરકાર દ્વારા રજૂ કરાયેલી એફિડેવિટનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે મે 2021થી ઓગસ્ટ 2022 દરમિયાન 171 એન્કાઉન્ટર થયા હતા, જેમાં 56 લોકો મૃત્યુ પામ્યા હતા. એ પૈકી ચાર લોકો પોલીસ કસ્ટડીમાં હતા અને 145 લોકોને ઈજા થઈ હતી.
આસામ સરકારના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે હાઈકોર્ટ આ અરજી ‘પ્રિમેચ્યોર’ ગણીને ફગાવી ચૂકી છે. જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘આવી અરજીઓને પ્રિમેચ્યોર ગણીને ફગાવી ના શકાય.’ આ દરમિયાન પ્રશાંત ભૂષણે દલીલ કરી કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) અને આસામ માનવ અધિકાર આયોગ બંને પોતાની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે અને આ કેસોમાં કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન થયું નથી. સુપ્રીમ કોર્ટે પણ માનવાધિકાર પંચની ભૂમિકાને સંબોધીને ટિપ્પણી કરી કે, ‘નાગરિક સ્વતંત્રતાના મુદ્દામાં સુપ્રીમ કોર્ટ અપેક્ષા રાખે છે કે તમે પોતે જ જવાબદારીપૂર્વક વર્તીને આગળ વધો.’
નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ થવી જોઈએ: સુપ્રીમ કોર્ટ
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે તપાસ અંગે રાજ્ય માનવાધિકાર આયોગને આદેશ આપ્યો કે તેઓ અંગ્રેજી અને સ્થાનિક ભાષાઓમાં અખબારોમાં જાહેર નોટિસ આપે, જેથી અસરગ્રસ્ત પરિવારોનો અવાજ સાંભળી શકાય. આ ઉપરાંત રાજ્ય સરકારને કોઈપણ વહીવટી અવરોધો દૂર કરવા તેમજ સંપૂર્ણ ફોરેન્સિક સહાય અને જરૂરી સંસાધનો પૂરા પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
આ મામલે કોર્ટે કહ્યું કે, 'આમાંની કેટલીક ઘટનાઓ ફેક એન્કાઉન્ટર હોઈ શકે છે તેવા આરોપો અત્યંત ગંભીર છે અને જો તે સાબિત થાય છે, તો તેને બંધારણની કલમ 21 હેઠળ જીવન જીવવાના અધિકારનું ઉલ્લંઘન માનવામાં આવશે. જોકે, એ પણ એટલું જ શક્ય છે કે નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ પછી, કેટલાક કેસ કાયદેસર રીતે ન્યાયી અને જરૂરી હોઈ શકે છે. આથી દરેક કેસની સ્વતંત્ર તપાસ થવી જોઈએ.'
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂરનો લોગો આ 2 લોકોએ તૈયાર કર્યો હતો, ભારતીય સૈન્યએ નામ જાહેર કર્યા
આ કેસની આગામી સુનાવણી 26 નવેમ્બરે નક્કી કરાઈ છે. નોંધનીય છે કે, અગાઉ હાઈકોર્ટ સમક્ષ પણ અરજદારે દલીલ કરી હતી કે, મે 2021 અને ઓગસ્ટ 2022 દરમિયાન આસામ પોલીસે 80થી વધુ ફેક એન્કાઉન્ટર કર્યા હતા, જેમાં 28 મોત થયા હતા. એ અરજીમાં નોંધ હતી કે, ‘દુઃખની વાત છે કે માર્યા ગયેલા કે ઈજાગ્રસ્ત થયેલા ઘણાં લોકો રીઢા ગુનેગારો ન હતા.’ એ અરજીમાં પણ સીબીઆઈ, એસઆઈટી કે અન્ય રાજ્યની પોલીસ ટીમ દ્વારા કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસની માંગ કરાઈ હતી.