Get The App

'એક પણ ગરબડ મળી તો સમગ્ર પ્રક્રિયા રદ કરીશું', SIR મુદ્દે સુપ્રીમ કોર્ટની ECને ફટકાર

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
'એક પણ ગરબડ મળી તો સમગ્ર પ્રક્રિયા રદ કરીશું', SIR મુદ્દે સુપ્રીમ કોર્ટની ECને ફટકાર 1 - image


Bihar SIR Supreme Court: બિહાર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)ને લઈને સોમવારે (15મી સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે 'અમે બિહાર SIR પર આંશિક અભિપ્રાય આપી શકીએ નહીં. અંતિમ નિર્ણય ગમે તે હોય, તે આખા દેશ પર લાગુ પડશે. અમે માનીએ છીએ કે બંધારણીય સત્તા, ચૂંટણી પંચ, બિહારમાં કાયદા અને ફરજિયાત નિયમોનું પાલન કરી રહ્યું છે. જો અમને બિહાર SIRના કોઈપણ તબક્કે ચૂંટણી પંચ દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિમાં કંઈ પણ ખોટું જણાશે, તો સમગ્ર પ્રક્રિયા રદ કરવામાં આવશે.'

આગામી સુનાવણી સાતમી ઑક્ટોબરે થશે

કેસની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલા બાગચીની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. અરજદારે પહેલી ઑક્ટોબર પહેલા કેસની સુનાવણીની માંગ કરી હતી. આ દિવસે અંતિમ મતદાર યાદી પ્રકાશિત થવાની છે. પરંતુ કોર્ટે ઇન્કાર કરતાં કહ્યું કે, '28મી સપ્ટેમ્બરથી દશેરાની રજા છે, પરંતુ કોર્ટ એક અઠવાડિયા માટે બંધ છે.' સુપ્રીમ કોર્ટે બિહારમાં SIR કવાયતની માન્યતા પર અંતિમ દલીલો સાંભળવા માટે સાતમી ઑક્ટોબરની તારીખ નક્કી કરી.

આ પણ વાંચો: વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો... SIT રિપોર્ટ રજૂ થયા બાદ સુપ્રીમ કોર્ટની ક્લિનચિટ

અંતિમ મતદાર યાદીના પ્રકાશનથી મામલાના નિરાકરણમાં કોઈ ફરક પડશે નહીં. કોર્ટે અરજદારોને ખાતરી આપી હતી કે જો કોઈ ગેરકાયદે હશે, તો તે અંતિમ પ્રકાશનને ધ્યાનમાં લીધા વિના આ મામલે હસ્તક્ષેપ કરશે. કોર્ટે આ વાત ઍડ્વૉકેટ પ્રશાંત ભૂષણના સવાલના જવાબમાં કહી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, 'ચૂંટણી પંચ SIRની કવાયતમાં પોતાના મેન્યુઅલ અને નિયમોનું પાલન કરી રહ્યું નથી. કાયદાકીય જરૂરિયાત હોવા છતાં કમિશન આ મામલે મળેલા વાંધાઓ અપલોડ કરી રહ્યું નથી.'

સુપ્રીમ કોર્ટનો નિર્ણય મહત્ત્વપૂર્ણ

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ચૂંટણી પંચે દેશભરમાં SIR વિશે વાત કરી હતી. ચૂંટણી પંચે આ સંદર્ભમાં 10મી સપ્ટેમ્બરે એક બેઠક યોજી હતી. ત્યારબાદ અધિકારીઓએ કહ્યું હતું કે 'આવતા વર્ષે પાંચ વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. તેથી 2025ના આગામી મહિનાઓમાં અખિલ ભારતીય મતદાર યાદી સુધારણા અભિયાન ચલાવી શકાય છે.'

બેઠકમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓએ કોઈપણ લાયક નાગરિકનું નામ મતદાર યાદીમાંથી બહાર ન રહે અને કોઈ અયોગ્ય વ્યક્તિ તેમાં ન રહે તે સુનિશ્ચિત કરવા માટે દસ્તાવેજો સૂચવ્યા. ફરીથી ભાર મૂકવામાં આવ્યો કે આ દસ્તાવેજો પાત્ર નાગરિકો માટે સબમિટ કરવા માટે સરળ હોવા જોઈએ. નોંધનીય છે કે વર્ષ 2026માં આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે.

SIR શું છે અને આ પ્રક્રિયા કેમ જરૂરી છે?

ચૂંટણી પંચ દ્વારા શરુ કરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ, દેશભરમાં ડુપ્લિકેટ, મૃત અથવા અયોગ્ય મતદારોની ઓળખ કરવામાં આવશે અને મતદાર યાદીમાંથી તેમના નામ દૂર કરવામાં આવશે. ખાસ કરીને એવા મતદારોની ઓળખ કરવામાં આવી રહી છે જેઓ કાયમી અને વર્તમાન બંને સરનામા પર નોંધાયેલા છે. 

Tags :