India

ધાર્મિક કેસમાં ન્યાયિક દખલ અંગે સુપ્રીમ કોર્ટને ગંભીર ચિંતા, કહ્યું - ધાર્મિક રિવાજો પર સવાલ ઊઠશે તો ધર્મ તૂટવા લાગશે

By GS TEAM
8 May 20262 mins read
TukuTouch Logo
ધાર્મિક પરંપરાઓ અને બંધારણીય અધિકારો વચ્ચેના સંઘર્ષ પર સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું કે, જો દેશની દરેક વ્યક્તિ ધર્મના દરેક રીત-રિવાજો સામે બંધારણીય અદાલતોમાં સવાલ ઉઠાવવા લાગશે, તો કોર્ટમાં અરજીઓનો ખડકલો થઈ જશે અને પરિણામે પ્રત્યેક ધર્મ તથા સભ્યતા તૂટવા લાગશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધાર્મિક કેસમાં ન્યાયિક દખલ અંગે સુપ્રીમ કોર્ટને ગંભીર ચિંતા, કહ્યું - ધાર્મિક રિવાજો પર સવાલ ઊઠશે તો ધર્મ તૂટવા લાગશે

Supreme Court: ધાર્મિક પરંપરાઓ અને બંધારણીય અધિકારો વચ્ચેના સંઘર્ષ પર સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું કે, જો દેશની દરેક વ્યક્તિ ધર્મના દરેક રીત-રિવાજો સામે બંધારણીય અદાલતોમાં સવાલ ઉઠાવવા લાગશે, તો કોર્ટમાં અરજીઓનો ખડકલો થઈ જશે અને પરિણામે પ્રત્યેક ધર્મ તથા સભ્યતા તૂટવા લાગશે.

સબરીમાલા અને એફજીએમ કેસની સંયુક્ત સુનાવણી

સીજેઆઈ સૂર્યકાંતના અધ્યક્ષપદે નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ હાલ કલમ 25 અને 26 હેઠળના ધાર્મિક અધિકારો પર સુનાવણી કરી રહી છે. આ સુનાવણી દરમિયાન કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના વિવાદની સાથે દાઉદી વ્હોરા સમુદાયમાં પ્રચલિત 'મહિલા જનનાંગ વિકૃતિ' (FGM)ની પ્રથાને પડકારતી અરજીઓને પણ સાંકળી લેવામાં આવી છે.

આ પણ વાંચો: ચંદ્રનાથ રથ પ્રથમ નહીં પણ અત્યાર સુધી શુભેન્દુ અધિકારીના 4 ખાસ વ્યક્તિઓની થઇ ચૂકી છે હત્યા

ન્યાયિક દખલગીરી અંગે બેન્ચની અવલોકનો

સુનાવણીના 13મા દિવસે કોર્ટે ધાર્મિક કેસોમાં ન્યાયિક દખલ અંગે સાવચેતી વર્તવા પર ભાર મૂક્યો હતો. ન્યાયાધીશ નાગરત્નાએ નોંધ્યું કે જો દરેક રિવાજ પર સવાલ ઉઠશે, તો મંદિર કે મસ્જિદ ખોલવા કે બંધ કરવા જેવા નાનામાં નાના મુદ્દાઓ પણ કોર્ટમાં પહોંચશે. ભારતની વિવિધતા જ આપણી સભ્યતાની ઓળખ છે, અને તેને જાળવી રાખવા માટે કોર્ટે આ બાબતોમાં ખૂબ જ સાવધ રહેવું જરૂરી છે.

FGM પ્રથા સામે ગંભીર દલીલો

FGMનો વિરોધ કરનારા અરજદારો તરફથી વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લૂથરાએ કોર્ટમાં ચોંકાવનારી વિગતો રજૂ કરી હતી. આ પ્રથા સાત વર્ષની નાની બાળકીઓ પર કરવામાં આવે છે, જેમના સ્વાસ્થ્ય પર કાયમી અને ન પૂરી શકાય તેવી અસર પડે છે. તેની અસર બાળકીના જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય પર ગંભીર રીતે થાય છે. અનેક પરિવારો સામાજિક બહિષ્કારના ડરથી આ પ્રથાનું પાલન કરવા મજબૂર છે. અરજદારોની દલીલ છે કે આ પ્રથાને કોઈ પણ સંજોગોમાં 'આવશ્યક ધાર્મિક પ્રથા' માની શકાય નહીં.

કોર્ટ સામેનો પડકાર

હવે સુપ્રીમ કોર્ટ સામે મુખ્ય સવાલ એ છે કે ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર અને વ્યક્તિગત માનવાધિકાર વચ્ચે ક્યાં સંતુલન જાળવવું. કોર્ટ એ નક્કી કરી રહી છે કે ધાર્મિક બાબતોમાં દખલ કરવાની ન્યાયતંત્રની સત્તા કેટલી હોવી જોઈએ.