મોંઘવારી ભથ્થાં અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, પેન્શન મેળવતા લાખો લોકોને થશે ફાયદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court Verdict on DA: સુપ્રીમ કોર્ટે મોંઘવારી ભથ્થા(Dearness Allowance) અને મોંઘવારી રાહત(Dearness Relief)ને લઈને એક ઐતિહાસિક અને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે, જેનો સીધો લાભ લાખો પેન્શનરોને મળશે. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકારો પેન્શનરોને મળતી મોંઘવારી રાહતનો દર કાર્યરત કર્મચારીઓના મોંઘવારી ભથ્થા કરતા ઓછો રાખી શકે નહીં. કોર્ટે અવલોકન કર્યું કે મોંઘવારી સેવારત અને નિવૃત્ત બંને કર્મચારીઓને સમાન રીતે અસર કરે છે, તેથી તેમની વચ્ચે ભેદભાવ કરવો તે બંધારણની કલમ 14(સમાનતાનો અધિકાર)નું ઉલ્લંઘન છે. આ નિર્ણય બાદ હવે સરકારો પેન્શનરો સાથે મોંઘવારીના લાભો બાબતે અન્યાય કરી શકશે નહીં.
ચૂકવણીમાં વિલંબ અને હક
કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ના એક કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે, મોંઘવારી ભથ્થાનો હેતુ વધતી કિંમતો અને જીવન નિર્વાહના ખર્ચ સામે રક્ષણ આપવાનો છે. કેરળ સરકારે નબળી નાણાકીય સ્થિતિનું બહાનું કાઢીને પેન્શનરોને ઓછી રાહત આપવાની દલીલ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નાણાકીય મુશ્કેલીઓ ચૂકવણીમાં વિલંબનું કારણ હોઈ શકે છે, પરંતુ તે બે સમાન જૂથો વચ્ચે ભેદભાવ કરવાનું બહાનું બની શકે નહીં.
આ પણ વાંચો: PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ, સોશિયલ મીડિયામાં વાઈરલ થયો સંસદનો વીડિયો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
આ ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે અને જણાવ્યું છે કે લોકકલ્યાણકારી રાજ્યમાં નિવૃત્ત લોકોના હિતોની અવગણના ન થઈ શકે. આ નિર્ણય દેશભરના સરકારી પેન્શનરો માટે રક્ષણ સમાન સાબિત થશે, કારણ કે હવે કોઈપણ રાજ્ય સરકાર પગાર સુધારણા કે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરતી વખતે પેન્શનરો સાથે ભેદભાવ કરતા પહેલા સો વાર વિચાર કરશે. પેન્શનરો માટે આ એક મોટી રાહત છે જે તેમને આર્થિક રીતે સશક્ત બનાવશે.








