Supreme Court: સુપ્રીમ કોર્ટે એક અનોખો અને ઐતિહાસિક નિર્ણય સંભળાવતા, દુષ્કર્મના કેસમાં 10 વર્ષની જેલ ભોગવી રહેલા એક યુવકને નિર્દોષ જાહેર કરીને જેલમાંથી મુક્ત કર્યો છે. કોર્ટે પોતાની 'સિક્સ સેન્સ'(સૂઝબૂઝ) વાપરીને જોયું કે આ મામલો બળાત્કારનો નહીં પણ માત્ર ગેરસમજણનો હતો. કોર્ટના પ્રયાસોથી જે યુવતીએ ફરિયાદ કરી હતી તેની સાથે જ યુવકના લગ્ન થયા છે અને હવે બંને સુખી જીવન જીવી રહ્યા છે. આટલું જ નહીં, કોર્ટે એ યુવકની સરકારી નોકરી પણ પાછી અપાવવાનો આદેશ આપ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માએ માનવતાવાદી અભિગમ અપનાવી, પક્ષકારો સાથે ચેમ્બરમાં રૂબરૂ વાતચીત કરી. કોર્ટે પોતાની 'સિક્સ્થ સેન્સ' (આંતરસૂઝ) થી પારખ્યું કે આ કેસ બળાત્કારનો નહીં પણ ગેરસમજનો હતો અને બંનેને ફરી સાથે લાવીને ન્યાય અપાવ્યો.
આર્ટિકલ 142નો ઉપયોગ કરી 'પૂર્ણ ન્યાય'
સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કર્યો. કોર્ટની દેખરેખ હેઠળ જ જુલાઈમાં બંનેના લગ્ન કરાવવામાં આવ્યા. લગ્નના પાંચ મહિના બાદ જ્યારે કોર્ટને ખાતરી થઈ કે બંને પતિ-પત્ની તરીકે સુખી જીવન જીવી રહ્યા છે, ત્યારે અંતિમ ચુકાદો આપતા FIR અને સજા બંને રદ કરી દીધા.
આ પણ વાંચો: ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ તૂટી રહી હોવાથી હિમાલયન-તિબેટ રેન્જમાં ભયાનક ભૂકંપનો ખતરો
નોકરી પણ પાછી મળશે અને પગાર પણ!
કોર્ટે માનવતાવાદી અભિગમ અપનાવતા યુવકને મોટી રાહત આપી છે. મધ્યપ્રદેશના સાગરની જે હોસ્પિટલમાં તે નોકરી કરતો હતો, ત્યાં તેને તાત્કાલિક અસરથી ફરી નોકરી પર રાખવા અને જેલના સમયગાળા દરમિયાનનો બાકી પગાર(એરિયર્સ) ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.


