Get The App

સુપ્રીમ કોર્ટે પહેલીવાર 'ઇચ્છા મૃત્યુ'ની આપી મંજૂરી, ચુકાદો સંભળાવતા જ જસ્ટિસ રડી પડ્યા

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
સુપ્રીમ કોર્ટે પહેલીવાર 'ઇચ્છા મૃત્યુ'ની આપી મંજૂરી, ચુકાદો સંભળાવતા જ જસ્ટિસ રડી પડ્યા 1 - image

 IMAGE From SOCIAL MEDIA


Right to Die with Dignity India : સુપ્રીમ કોર્ટે માનવીય અભિગમ અપનાવીને 13 વર્ષથી પથારીવશ યુવક હરીશ રાણા (ઉં. 31)ને 'પેસિવ યુથેનેશિયા'(ઇચ્છા મૃત્યુ)ની મંજૂરી આપી દીધી છે. હરીશ રાણા 13 વર્ષ પહેલા ચંદીગઢની એક હોસ્ટેલમાં ચોથા માળેથી નીચે પટકાઈને પરમેનેન્ટ વેજિટેટિવ સ્ટેટમાં જતો રહ્યો હતો. ત્યાર પછી ગાઝિયાબાદના રહેવાસી હરીશના માતા-પિતાએ જીવતી લાશ બની ગયેલા પુત્રની સ્થિતિ જોઈને તેના ઇચ્છા મૃત્યુ માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.     

‘કોઈને અનિશ્ચિતકાળ સુધી અસહ્ય પીડામાં ના રાખી શકાય’ 

આ અરજી અંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચે દિલ્હીની AIIMS હૉસ્પિટલ પાસે મેડિકલ રિપોર્ટ મંગાવ્યો હતો. તબીબોની ટીમે રિપોર્ટમાં કહ્યું હતું કે, હરીશના સ્વાસ્થ્યમાં સુધારાની કોઈ જ શક્યતા નથી. આ રિપોર્ટને આધારે કોર્ટે અવલોકન કર્યું કે, કોઈ વ્યક્તિને આટલી અસહ્ય પીડામાં અનિશ્ચિતકાળ સુધી રાખી શકાય નહીં.

છેવટે કોર્ટે પેસિવ યુથેનેશિયાની મંજૂરી આપી 

આ સાથે જ સુપ્રીમ કોર્ટે હરીશ માટે 'પેસિવ યુથેનેશિયા'ની મંજૂરી આપી દીધી. આ પ્રક્રિયામાં દર્દીને જીવંત રાખવા માટે અપાતા કૃત્રિમ લાઇફ સપોર્ટ (જેમ કે વેન્ટિલેટર કે ફીડિંગ ટ્યુબ) હટાવી લેવાય છે, જેથી તેનું કુદરતી રીતે મૃત્યુ થઈ શકે. આ ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે, ‘આવા નિર્ણય મુશ્કેલ છે, પરંતુ દર્દીની સ્થિતિ અત્યંત દુઃખદ છે.’

પરમેનેન્ટ વેજિટેટિવ સ્ટેટ અને કોમા વચ્ચેનો ફર્ક

પરમેનેન્ટ વેજિટેટિવ સ્ટેટ મગજની એવી ગંભીર સ્થિતિ છે, જેમાં વ્યક્તિ જાગૃત હોવા છતાં તેને આસપાસના વાતાવરણનું ભાન હોતું નથી. આ સ્થિતિમાં દર્દીની આંખો ખુલ્લી હોય છે અને તે ક્યારેક ઊંઘે કે જાગે તેવું પણ લાગે છે, પરંતુ તેમનું મગજ કોઈ વિચાર કરી શકતું નથી કે કોઈ સૂચનાનું પાલન કરી શકતું નથી. તે હલનચલન કરી શકતા નથી કે બોલી શકતા નથી. શરીરના મૂળભૂત કાર્યો (જેમ કે શ્વાસ લેવો, હૃદયના ધબકારા અને પાચન) ચાલુ રહે છે કારણ કે મગજનો નીચેનો ભાગ (Brainstem) કામ કરતો હોય છે, પણ ઉપરનો ભાગ (Cerebral Cortex) જે વિચારવાનું કામ કરે છે, તે કામ કરવાનું બંધ કરી દે છે. એટલું જ નહીં, આ પ્રકારના દર્દી ક્યારેક અવાજ તરફ ડોક ફેરવવી કે રડવા/હસવા જેવી પ્રતિક્રિયા આપે છે. 

એવી જ રીતે, કોમામાં આંખો બંધ હોય છે. દર્દીને ઊંડા નસકોરા પણ બોલતા હોઈ શકે છે, જેથી તે ગાઢ ઊંઘમાં હોય તેવું લાગે છે. આ ઉપરાંત તેઓ કોઈ પણ અવાજ કે સ્પર્શની પ્રતિક્રિયા આપતા નથી.