Puri rathyatra News : ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રવિવારે સવારે આશરે 4:30 વાગ્યે જ્યારે ભક્તો શ્રીગુંડિચા મંદિર સામે ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા તે દરમિયાન જ ત્યાં ધક્કા-મુક્કી બાદ નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ગઇ હતી.
3ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
આ ઘટનામાં 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જોકે 10થી વધુ ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે. ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાની જાણકારી છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે.
જાણો કેવી રીતે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ?
આ ઘટના શ્રી ગુંડીચા મંદિરની સામે શારદાબલી પાસે બની હતી. તે સમયે રથ પર બિરાજમાન ભગવાન જગન્નાથના દર્શન માટે મોટી ભીડ એકઠી થઈ હતી. દર્શન દરમિયાન, ભીડને કાબૂમાં રાખવી મુશ્કેલ બની ગઈ અને લોકોએ ધક્કામુક્કી શરૂ કરી દીધી. કેટલાક લોકો જમીન પર પડી ગયા અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ.
મૃતકોની ઓળખ થઈ
ત્રણેય મૃતકોની ઓળખ થઈ ગઈ છે. નાસભાગ સમયે 3 લોકો ભીડ નીચે દટાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા. તમામ મૃતકો ખુર્દા જિલ્લાના હોવાનું કહેવાય છે. મૃતકોમાં 2 મહિલાઓ પ્રભાતી દાસ અને બસંતી સાહુનો સમાવેશ થાય છે. જ્યારે મૃતકોમાં એક 70 વર્ષીય પુરુષ પ્રેમકાંત મહંતી પણ સામેલ છે.


