India

હરિદ્વારના પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં ધક્કામુક્કી : આઠના મોત, 35 ઘાયલ

By GS TEAM
27 Jul 20253 mins read
હરિદ્વારના પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં ધક્કામુક્કી : આઠના મોત, 35 ઘાયલ

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યંત્રીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી

વીજળીનો તાર પડતા કરંટ લાગવાની અફવા બાદ ધક્કામુક્કી થઇ હતી, મૃતકોમાં બાળકો-વૃદ્ધોનો સમાવેશ

હરિદ્વાર: ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા પ્રખ્યાત મનસા દેવી મંદિરે ધક્કામુક્કીમાં આઠ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ૩૫થી વધુ લોકો ઘાયલ થયા હતા. શ્રદ્ધાળુઓ મંદિર તરફ જઇ રહ્યા હતા ત્યારે અચાનક જ તેમના પર વીજળીનો તાર પડવાની અફવા ફેલાઇ હતી, જેને પગલે બાદમાં તમામ શ્રદ્ધાળુઓ જીવ બચાવવા માટે ધક્કામુક્કી કરીને ભાગવા લાગ્યા. આ નાસભાગમાં આઠ લોકોએ જીવ ગૂમાવ્યો છે જ્યારે અન્ય ૩૫થી વધુ લોકો ઘાયલ થઇ ગયા છે. જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલો છે. 

હરિદ્વારના એસએસપી પ્રમેન્દ્રસિંહ દોબલે કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વીજળીનો ચાલુ તાર પડવાની અફવાથી નાસભાગ થઇ હતી. તેમ છતા અમે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છીએ. આશરે ૩૫ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. ઘટનામાં ઇજાગ્રસ્ત એક શ્રદ્ધાળુએ કહ્યું હતું કે મંદિરથી માત્ર ૨૫ પગથીયા દૂર ટોળુ કાબુ બહાર જતુ રહ્યું હતું. જેને કારણે હું અને અન્ય ૧૦થી ૧૨ જેટલા શ્રદ્ધાળુઓ એકબીજા પર પડયા હતા. મારા પરિવારના બે લોકો હજુ પણ ગૂમ છે. જે આશરે આઠ લોકો માર્યા ગયા છે તેમાં બે ૬૦ વર્ષથી વધુ વયના, એક છ વર્ષનું બાળક, અને અન્ય યુવા વયના લોકોનો સમાવેશ થાય છે. સવારે આશરે નવ વાગ્યાની આસપાસ શ્રદ્ધાળુઓ મંદિરના પગથીયા ચડી રહ્યા હતા એ સમયે જ કોઇએ અફવા ફેલાવી દીધી કે કરંટ લાગ્યો છે, વીજળીનો તાર પડયો. પછી ભીડ બેકાબુ થઇ ગઇ અને એકબીજાને કચડીને આગળ વધી ગઇ. ઘટના બાદ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ મૃતકોના પરિવારને બે-બે લાખ અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. બીજી તરફ મનસા દેવી ટ્રસ્ટના અધ્યક્ષ મહંત રવીંદ્ર પુરીએ કહ્યું હતું કે મંદિરની અંદર કોઇના લપસી જવાને કારણે આ નાસભાગ થઇ હતી, વીજળીનો તાર પડવાની અફવાને કારણે નહીં. તેમ છતા પોલીસ હાલ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સહિતના લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.       

આ વર્ષે ધક્કામુક્કીની ચાર મોટી ઘટનાઓ 

નવી દિલ્હી: ૨૯ જાન્યુઆરી : પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાસના ધક્કામુક્કી થઇ હતી, જેને કારણે ૩૦ લોકોના મોત થયા હતા. અને અન્ય ૬૦ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. 

૧૬ ફેબુ્રઆરી : નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મહાકુંભના શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઇ હતી. જે દરમિયાન અચાનક જ નાસભાગ થઇ હતી, જેમાં ૧૮ લોકોના મોત નિપજ્યા હતા અને ૨૫થી વધુ લોકો ઘાયલ થયા હતા. 

૩ મે : ગોવાના શ્રી લૈરાઇ દેવી મંદિરમાં આ વર્ષે જ મે મહિનામાં નાસભાગમાં છ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા. મંદિરમાં વાર્ષિક ઉત્સવ દરમિયાન આ ઘટના બની હતી.  

૪ જૂન : બેંગલુરુમાં આઇપીએલ વિજેતા ટીમની ઉજવણી દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ધક્કામુક્કીમાં ૧૧ લોકોના મોત નિપજ્યા હતા અને અનેક લોકો ઘવાયા હતા.