સૃજન કૌભાંડ: બિહારના ઉપ મુખ્ય પ્રધાન સુશીલ મોદીના બહેનના ઘરે ITના દરોડા
- એનજીઓના પૈસાને રીઅલ એસ્ટેટમાં રોકી કરોડોનું કૌભાંડ આચરવાનો મામલો
- આઇટી વિભાગે બિહારમાં આઠ સ્થળોએ દરોડા પાડયા, તેજસ્વી યાદવે સુશીલ મોદીના રાજીનામાની માગ કરી
પટના, તા. ૬
બિહારમાં આઇટી વિભાગ દ્વારા આઠ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. જોેકે જે પણ લોકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં ભાજપના નેતા અને બિહારના ડેપ્યુની મુખ્ય પ્રધાન સુશિલ મોદીના બહેનના ઘરનો પણ સમાવેશ થાય છે.
આઇટી વિભાગે સુશિલ મોદીના બહેન રેખા મોદીની ઓફિસ તેમજ તેમના ઘરે આઇટીના અધિકારીઓએ સૃજન કૌભાંડ અંતર્ગત દરોડા પાડયા હતા. આઇટી વિભાગ ઉપરાંત આ તપાસમાં બિહાર પોલીસની ટીમ પણ સામેલ હતી.
બિહારના પૂર્વ ઉપ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે આ મામલે અનેક વખત સુશિલ મોદી પર પ્રહારો કર્યા હતા અને તેમની આ કૌભાંડમાં સંડોવણી હોવાના પણ આરોપો લગાવ્યા હતા.
જેને પગલે ભીસમાં આવેલ પ્રશાસને હવે આ અંગેની લિંક શોધવાના પ્રયાસો જારી કર્યા છે. લાલુ યાદવના પત્નિ રાબડી દેવીએ પણ નીતીશ કુમાર અને સુશીલ મોદીના રાજીનામાની માગણી કરી હતી. નોંધનીય છે કે બિહારના ભાગલપુરમાં સૃજન કૌભાંડ બહાર આવ્યું હતું.
અહીં સૃજન મહિલા આયોગ નામની એક સંસ્થાએ બેંક અને ટ્રેજરી અધિકારોની સાથે મળીને કરોડો રૃપિયાના કૌભાંડને અંજામ આપ્યો હતો અને ભ્રષ્ટાચાર કર્યો હતો. બેંક અધિકારીઓ ફંડને ગુપ્ત રીતે સૃજન સંસ્થાના ખાતામાં જમા કરી દેતા હતા.
સંસ્થાએ બાદમાં આ પૈસાને રીઅલ એસ્ટેટ જેવા ધંધામાં લગાવીને કરોડો રૃપિયાની ગોલમાલ કરી હતી. બિહાર સરકારે આ મામલે સીબીઆઇને તપાસ સોપવાની ભલામણ કરી છે. હવે આ મામલે રેલો બિહારના ઉપ મુખ્ય પ્રધાન સુશીલ મોદીના પરિવારજનો સુધી પહોંચ્યો છે.