શું દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ બિહારથી હશે? નડ્ડા અને દિગ્ગજ નેતાની મુલાકાતથી અટકળો
Vice President of India : જગદીપ ધનખડના રાજીનામા બાદ આગામી ઉપરાષ્ટ્રપતિ માટે સંભવિત ચહેરાઓ અંગે દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં આવા ઘણા સમીકરણો રચાયા છે, જેના કારણે અટકળો શરૂ થઈ ગઈ છે કે આગામી ઉપરાષ્ટ્રપતિ બિહારનો હોઈ શકે છે. તમામ રાજકીય નિવેદનબાજી વચ્ચેબુધવારે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી અને જેડીયુ રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુર સાથે તેમના ઘરે જઇને મુલાકાત કરી હતી.
રામનાથ ઠાકુર ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએનો ચહેરો બની શકે
રામનાથ ઠાકુર બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના પુત્ર છે. જેપી નડ્ડા સાથેની તેમની મુલાકાતનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રામનાથ ઠાકુરને પણ ઉપરાષ્ટ્રપતિ પદ માટે સંભવિત ઉમેદવાર ગણવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
પીએમ મોદીના નજીકના મનાય છે
રામનાથ ઠાકુર કર્પૂરી ઠાકુરના વારસાને લઈને બિહાર સહિત સમગ્ર દેશમાં મજબૂત સામાજિક ઓળખ ધરાવે છે. રામનાથ ઠાકુરને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નજીકના પણ માનવામાં આવે છે. ગયા વર્ષે, કેન્દ્ર સરકારે તેમના પિતા કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.
હરિવંશ નારાયણના નામ અંગે પણ ચર્ચા તેજ
જગદીપ ધનખડના રાજીનામાના 24 કલાકની અંદર, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પણ મળ્યા હતા. ઉપરાષ્ટ્રપતિના સંભવિત ચહેરાઓમાં તેમનું નામ પણ આગળ છે. એપ્રિલ 2014 માં જેડીયુએ તેમને બિહારથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટ્યા. ત્યારપછી 9 ઓગસ્ટ 2018 ના રોજ અને પછી સપ્ટેમ્બર 2020 ના રોજ રાજ્યસભાના ઉપાધ્યક્ષ પદ માટે હરિવંશ પ્રથમ વખત ચૂંટાયા.