'લદાખમાં ઈન્કમ ટેક્સ લાગતો જ નથી તો મને નોટિસ કેમ?', NGOનું લાઈસન્સ રદ થતાં ભડક્યા સોનમ વાંગચુક
Sonam Wangchuk On NGO's license cancellation : લદાખમાં થયેલી હિંસા બાદ સરકારે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકના NGOનું FCRA લાઈસન્સ રદ કરી વિદેશી ફંડિંગ પર રોક લગાવી છે. આ મામલે હવે તપાસ પણ શરૂ કરી દેવાઈ છે. જે બાદ વાંગચુકે કહ્યું છે કે સરકાર મારા જેવી નાની વ્યક્તિ પર તમામ દોષનો ટોપલો ઢોળવા માંગે છે. હું જેલ ગયો તો યુવાનો જાગી જશે.
લદાખમાં કોઈ ટેક્સ લાગતો નથી: વાંગચુક
વાંગચુકે કહ્યું, કે 'થોડા મહિનામાં લદાખમાં ચૂંટણી થવાની છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જે વાયદા કર્યા હતા તે પૂર્ણ કર્યો. દોઢ મહિના અગાઉ મારા પર દેશદ્રોહનો કેસ કરાયો, હવે CBI તપાસની વાત થઈ રહી છે. 2022થી 2024 સુધી અમે FCRA લાઈસન્સ નહોતું લીધું કારણ કે અમે વિદેશથી ફંડિંગ લેવા જ નહોતા માંગતા. અમને આવકવેરાની નોટિસ આવી રહી છે. સમગ્ર લદાખમાં કોઈ ટેક્સ નથી લાગતો, અહીં ટેક્સથી મુક્તિ અપાઈ છે. તો મને કેવી રીતે સમન્સ પાઠવી શકો?
સરકારે શું કાર્યવાહી કરી?
નોંધનીય છે કે હાલમાં જ પૂર્ણ રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિની માંગ સાથે ચાલી રહેલા આંદોલન બાદ લદાખમાં હિંસા ફાટી નીકળી હતી. ઠેર ઠેર હિંસામાં ચાર લોકોના મોત થયા જ્યારે આશરે 80 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સરકારે આ હિંસા માટે સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રાલયે SECMOL ( સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદાખ )નું FCRA લાઈસન્સ રદ ર્ક્યું છે. નિયમોના ઉલ્લંઘનના આરોપ સાથે કાર્યવાહી કરવામાં આવી છે.
સરકારે અગાઉ 20મી ઓગસ્ટે આ NGOને નોટિસ પણ ફટકારી હતી. વાંગચુકે કહ્યું છે, કે 'મને બલિનો બકરો બનાવી સરકારે મુખ્ય મુદ્દાથી ધ્યાન ભટકાવવા માંગે છે. બેરોજગારીના કારણે પહેલેથી જ યુવાનોમાં અસંતોષ છે. જો સરકાર મારી ધરપકડ કરવા માંગતી હોય તો હું તેના માટે પણ તૈયાર છું પરંતુ જો મને જેલ થઈ તો સરકાર માટે પડકારો વધશે જ.'