બંગાળમાં શુભેન્દુ અધિકારીની કાર પર હુમલો, ભાજપ નેતાએ TMCની લુંગી વાહિની પર કર્યા પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bengal News : પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા, શુભેન્દુ અધિકારીએ રવિવારે (19 ઓક્ટોબર, 2025) આરોપ લગાવ્યો કે, દક્ષિણ 24 પરગણા જિલ્લામાં કાલી પૂજા અને દિવાળીના તહેવારોમાં ભાગ લેવા પહોંચ્યા ત્યારે તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ તેમની કાર પર હુમલો કર્યો હતો. જોકે, તૃણમૂલ કોંગ્રેસે શુભેન્દુના આરોપોને નકારી કાઢ્યા હતા. જ્યારે આ હુમલો ભારતીય જનતા પાર્ટી (BJP) સામે લોકોની નારાજગી દર્શાવી હતી.
શુભેન્દુએ દાવો કર્યો હતો કે, ઓછામાં ઓછી સાત જગ્યાએ તેમની કાર રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને લાલપુર મદરસેની સામે તેમના પર હુમલો થયો હતો. સમગ્ર ઘટનાનો તેમણે સોશિયલ મીડિયા માધ્યમ 'X' વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, 'દક્ષિણ 24 પરગણા જિલ્લામાં ગેરકાયદેસર બાંગ્લાદેશી મુસ્લિમો દ્વારા મારા પર અનેક હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. તોડફોડ અને અરાજકતા બીજા કોઈએ નહીં પણ તૃણમૂલ કોંગ્રેસના જિલ્લા પરિષદ સભ્ય રેખા ગાઝી દ્વારા કરવામાં આવી હતી, જે પોલીસ અધિક્ષક (SP) કોટેશ્વર રાવની મદદથી અને સમર્થનથી કરવામાં આવી હતી.'
શુભેન્દુ અધિકારીનો દાવો
શુભેન્દુએ કહ્યું હતું કે, "હું કોઈ રાજકીય કાર્યક્રમમાં ભાગ લેવાનો નહોતો, પરંતુ એક હિન્દુ તરીકે, હું કાલી પૂજા અને દિવાળીના ઉજવણીમાં હાજરી આપવા જઈ રહ્યો હતો." તેમણે દાવો કર્યો કે હુમલાખોરો મુખ્યત્ત્વે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હતા, જેઓ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને કારણે તેમના ભવિષ્ય વિશે ચિંતિત છે.
શુભેન્દુએ કહ્યું કે, જે લોકોએ તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો તેઓ "જય બાંગ્લા" જેવા નારા લગાવી રહ્યા હતા. કેન્દ્રીય દળોએ રસ્તો સાફ કરી દીધો અને તેઓ કાલી પૂજા પંડાલોના તેમના નિર્ધારિત ઉદ્ઘાટન સાથે આગળ વધ્યા હતા.
રાજકીય વિરોધીઓ સામે TMCની હિંસા
ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ બંગાળમાં વિપક્ષી નેતા પર થયેલા હુમલાનો જવાબ આપ્યો હતો. તેમણે 'X' પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "મા કાલી પૂજાનું ઉદ્ઘાટન અને તેમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે, વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારી પર TMCની લુંગી વાહિની દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ મથુરાપુર અને મંદિર બજાર વિસ્તારોમાં મહિલાઓનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો."
તેમણે વધુમાં લખ્યું, "TMC જિલ્લા પરિષદ સભ્ય રેખા ગાઝી અને તેમના નિર્દેશનમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ દ્વારા કરવામાં આવેલા વિપક્ષી નેતા પરના આ ઘૃણાસ્પદ અને પૂર્વયોજિત હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ. રાજકીય વિરોધીઓ સામે આ પ્રકારની હિંસા TMCની હતાશા અને લોકશાહી અને કાયદા પ્રત્યેની તેની સંપૂર્ણ અવગણનાને છતી કરે છે."
તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો
તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા જય પ્રકાશ મજુમદારે દાવો કર્યો હતો કે, જનતા શુભેન્દુ સામે વિરોધ કરી રહી હતી. કારણ કે તેઓ ભાજપથી નારાજ હતા. મજુમદારે કહ્યું, "ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના હિસ્સાનું ફંડ જાહેર કર્યું નથી, જેના કારણે આ ગરીબ લોકો હાંસિયામાં ધકેલાઈ ગયા છે."
તેમણે કહ્યું કે, "ભાજપના નેતાઓએ સાવધ રહેવું જોઈએ. બંગાળના દરેક ગામ, બજારમાં અને શેરીમાં લોકો ગુસ્સે છે. બંગાળ જાણે છે કે વિરોધ કેવી રીતે કરવો, અને ભાજપના નેતાઓને દરેક જગ્યાએ આવા પ્રદર્શનોનો સામનો કરવો પડશે." કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે કહ્યું કે, 'આવી ઘટનાઓ ભાજપના સભ્યોને શાસક તૃણમૂલ કોંગ્રેસ સામેની લડાઈમાં નિરાશ કરવાને બદલે પ્રોત્સાહિત કરે છે.'








