શ્રદ્ધા વાલકર હત્યાકાંડ: આફતાબે જામીન અરજી પાછી ખેંચી
- આફતાબ વતી દિલ્હીની સાકેત કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી
નવી દિલ્હી, તા. 22 ડિસેમ્બર 2022, ગુરૂવાર
શ્રદ્ધા વાલકર હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાએ દિલ્હીની એક કોર્ટમાં દાખલ કરેલી જામીન અરજી પાછી ખેંચી લીધી છે. આફતાબ અને તેના વકીલ વચ્ચે ગેરસમજના કારણે જામીન અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી. આફતાબના વકીલ એમએસ ખાને કોર્ટને જણાવ્યું કે સોમવારે આફતાબ સાથે 50 મિનિટ લાંબી ચર્ચા કર્યા બાદ આરોપીએ જામીન અરજી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. વકીલે કોર્ટને સ્પષ્ટ કહ્યું કે ખોટી માહિતીના કારણે અરજી દાખલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે સાકેત કોર્ટમાં જવાબ દાખલ કરતી વખતે કહ્યું હતું કે, આફતાબ પૂનાવાલાને જામીન ન આપવા જોઈએ, કારણ કે તેના ગુનાએ સમાજને ઊંડી અસર કરી છે.
શ્રદ્ધાના આરોપી આફતાબ વતી દિલ્હીની સાકેત કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. આફતાબના વકીલે 17 ડિસેમ્બરે યોજાયેલી છેલ્લી સુનાવણી દરમિયાન તેમના અસીલ સાથે વાત કરવા માટે સમય માંગ્યો હતો. આફતાબ અમીન પૂનાવાલાએ 17 ડિસેમ્બરે વીડિયો કોન્ફરન્સ દ્વારા દિલ્હી કોર્ટમાં હાજર થતાં કહ્યું હતું કે, તેમને ખબર નથી કે તેમના તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી છે. પૂનાવાલાએ કોર્ટને જણાવ્યું હતું કે, તેણે 'પાવર ઓફ એટર્ની' પર હસ્તાક્ષર કર્યા હતા પરંતુ તે એવું નહોતો જાણતો કે તેના વતી જામીન અરજી દાખલ કરવામાં આવશે. એડિશનલ સેશન્સ જજ વૃંદા કુમારીએ જણાવ્યું હતું કે, જામીન અરજી પેન્ડિંગ રહેશે અને જ્યારે આરોપી વકીલને મળશે, ત્યારે જ નક્કી કરવામાં આવશે કે જામીન અરજી રજૂ કરવામાં આવશે કે નહીં.
બીજી તરફ શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરે મીડિયાને જણાવ્યું હતું કે, આફતાબે મારી પુત્રીની નિર્દયતાથી હત્યા કરી છે. આફતાબને સખત સજા થવી જોઈએ અને તેના પરિવારના સભ્યોની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ. તેને પણ મારી દીકરીની જેમ સજા થવી જોઈએ. હું ઈચ્છું છું કે તેને ફાંસી આપવામાં આવે. મારી દીકરી સાથે જે થયું તે કોઈની સાથે ન થવું જોઈએ.