રાજાની હત્યા સમયે હું ત્યાં હાજર હતી... ક્રાઈમ સીન રિક્રિએશનમાં સોનમની ચોંકાવનારી કબૂલાત
Raja Raghuvanshi Murder Case: ઈન્દોરના રાજા રઘુવંશીની હત્યા કેસમાં મેઘાલય પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો છે. શિલોંગના પોલીસ અધિક્ષક (એસપી) વિવેક સૈયમે જણાવ્યું હતું કે, '23મી મેના રોજ સોહરાના વેઇસાડોંગ ધોધ નજીક રાજાની હત્યામાં એક નહીં પણ બે તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક હથિયાર મળી આવ્યું છે, જ્યારે બીજુ હથિયાર રાજાના મૃતદેહ સાથે ફેંકવામાં આવ્યું હતું. આ ઉપરાંત સોનમે ક્રાઈમ સીન રિક્રિએશનમાં કરી કબૂલાત કરી છે કે, પતિ રાજાની હત્યા સમયે હાજર હતી.'
'હત્યા પાછળનો કારણ પ્રણય ત્રિકોણ હોઈ શકે છે'
શિલોંગના પોલીસ અધિક્ષક (એસપી) વિવેક સૈયમે જણાવ્યું હતું કે 'આરોપી આકાશ રાજપૂત, વિશાલ સિંહ ચૌહાણ અને આનંદ કુર્મીએ તીક્ષ્ણ હથિયારો વડે રાજા પર હુમલો કર્યો હતો. ક્રાઇમ સીન રિક્રિએશન દરમિયાન સોનમે કબૂલાત કરી હતી કે હત્યા દરમિયા તે ઘટનાસ્થળે હતી. તેણે હત્યારાઓને પાર્કિંગમાં જ રાજાની હત્યા કરવા કહ્યું હતું. જ્યારે આરોપીઓએ રાજા પર હુમલો કર્યા બાદ લોહી નીકળવા લાગ્યું, ત્યારે સોનમ ચીસો પાડીને પાછળ હટી ગઈ. ત્રણેય હત્યારાએ સાથે મળીને રાજાના મૃતદેહને ખીણમાં ફેંકી દીધું હતું. સોનમના મોબાઈલ ફોન તોડી નાખવામાં આવ્યો અને તે હજુ સુધી મળ્યો નથી. હત્યા પાછળનો કારણ પ્રણય ત્રિકોણ હોઈ શકે છે, જેની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી તપાસમાં પ્રણય ત્રિકોણના પુરાવા મળ્યા છે.'
આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશમાં ગુજરાતી ક્રિકેટરનો પણ ગયો જીવ, ટીમે આપી શ્રદ્ધાંજલિ
આ અંગે એસપી વિવેક સૈયમે જણાવ્યું હતું કે, 'ત્રણેય હત્યારા અને સોનમ પહેલાં ક્યારેય શિલોંગ આવ્યા નહોતા. સોનમનો કથિત પ્રેમી અને હત્યાનો માસ્ટરમાઇન્ડ રાજ કુશવાહા શિલોંગ આવ્યો ન હતો. તેનું કારણ એ હતું કે તે સોનમના પરિવારની ફેક્ટરીમાં કર્મચારી હતો અને તેના આવવાથી શંકા ઊભી થઈ શકે છે. તેથી, તે ઇન્દોરમાં જ રોકાયો હતો.
સોનમના પરિવારની પૂછપરછ કરશે
સોનમના પરિવાર અંગેએસપી વિવેક સૈયમે જણાવ્યું હતું કે 'અમારી ટીમ ઇન્દોરમાં છે. તેમની પૂછપરછ કરવામાં આવશે. સોનમના પરિવારના સભ્યોની પૂછપરછ કરવાના ઘણાં અન્ય એંગલ છે.'
રાજા હનીમૂન માટે મેઘાલય ગયો હતો
ઉલ્લેખનીય છે કે, ઈન્દોરના રહેવાસી રાજા રઘુવંશીએ હત્યાના 12 દિવસ પહેલા સોનમ સાથે લગ્ન કર્યા હતા. તે અને સોનમ હનીમૂન માટે મેઘાલય ગયા હતા. ત્યારબાદ 23મી મેના રોજ રાજા મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં હતો, જ્યાંથી તે ગાયબ થઈ ગયો હતો. જે પછી બીજી જૂનના રોજ રાજાનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો.