Get The App

હાલ મારું ધ્યાન મિશન પર, ભારત આવીને જવાબ આપીશ: કોંગ્રેસ નેતાઓ પર થરૂરનો વળતો પ્રહાર

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
હાલ મારું ધ્યાન મિશન પર, ભારત આવીને જવાબ આપીશ: કોંગ્રેસ નેતાઓ પર થરૂરનો વળતો પ્રહાર 1 - image


Congress Leader Shashi Tharoor: કોંગ્રેસ નેતા શશિ થરૂર ભારત તરફથી વિશ્વભરમાં મોકલવામાં આવેલા ડેલિગેશનનો હિસ્સો બનતાં જ પોતાના જ પક્ષના લોકોની ટીકાઓનો ભોગ બન્યા છે. વારંવાર કોંગ્રેસનો વિવિધ નેતાઓ થરૂરની ટીકા કરી રહ્યા છે. જેના પર ફરી એકવાર સ્પષ્ટતા આપતાં થરૂરે કહ્યું કે, હાલ મારી પાસે આ બધી વાતો માટે સમય નથી.

મીડિયા સાથે વાતચીતમાં બ્રાઝિલમાં થરૂરને સવાલ કરવામાં આવ્યો હતો કે, કોંગ્રેસ નેતા તમારી ટીકાઓ કરી રહ્યા છે. તો તેનો જવાબ આપતાં તેમણે કહ્યું કે, આ બધી વાતો માટે મારી પાસે સમય નથી. હું હાલ માત્ર મારા મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું.

ભારત આવી આ મુદ્દે વિચારીશઃ થરૂર

થરૂરે આગળ કહ્યું કે, આપણે આ મિશનને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવું જોઈએ. એક સંપન્ન લોકતંત્રમાં ટિપ્પણીઓ અને ટીકાઓ થતી રહે છે. પરંતુ મને લાગે છે કે, હાલ આ બધી વાતો પર ધ્યાન આપવાની જરૂર નથી. જ્યારે અમે ભારત પાછા આવીશું, ત્યારે અમારી પાસે અમારા સહયોગીઓ, ટીકાકારો, મીડિયા સાથે વાતચીત કરવાની તક હશે. પરંતુ હાલ અમે એવા દેશો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ, જ્યાં અમે જઈને આપણા દેશનો સંદેશ પહોંચાડી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતાની પોસ્ટથી પક્ષમાં હડકંપ: 'મારું નહીં તો રાહુલજીનું તો માનો! બી ટીમ, ફૂટેલી કારતૂસોને કાઢવામાં દુઃખે છે ક્યાં?'



કોંગ્રેસના નેતાઓએ ટીકા કરી

ડેલિગેશન માટે જ્યારે કેન્દ્ર સરકારે વિવિધ પક્ષો પાસેથી પોતાના નેતાઓની યાદી મગાવી હતી, ત્યારથી જ કોંગ્રેસ અને થરૂર વચ્ચે મડાગાંઠ ઉભી થઈ છે. કેન્દ્ર સરકારે ડેલિગેશન માટે કોંગ્રેસમાંથી થરૂરની ભલામણ ન થઈ હોવા છતાં પસંદગી કરી હતી. જેનાથી વિપક્ષ નારાજ થયો હતો. વધુમાં થરૂરના નિવેદનો પર ટીકા કરતાં કોંગ્રેસના નેતા ઉદિત રાજે કહ્યું હતું કે, કોંગ્રેસે તેમને બધું આપ્યું, પરંતુ કોંગ્રેસ વિરુદ્ધ નિવેદનો આપીને તેમણે સ્પષ્ટ કરી દીધું કે તેઓ કોંગ્રેસનું કલ્યાણ ઇચ્છતા નથી. બીજી તરફ, પવન ખેરાએ ટીકા કરી હતી કે. થરૂરે તેમના પુસ્તકમાં સર્જિકલ સ્ટ્રાઈકની ટીકા કરી હતી, પરંતુ હવે તેઓ વિવિધ દેશોમાં જઈને તેની પ્રશંસા કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ થરૂરને વડાપ્રધાન મોદીની પાર્ટીના પ્રવક્તા અથવા વિદેશમંત્રી બની જવા સલાહ આપતાં ટીકા કરી હતી. તેમણે આક્ષેપ મૂક્યો હતો કે, થરૂર વિદેશમાં ફક્ત ભાજપ માટે કામ કરી રહ્યા છે.

ભાજપે પ્રશંસા કરી

એક તરફ કોંગ્રેસ થરૂરને નિશાન બનાવી રહી છે, તો બીજીતરફ ભાજપ તેમના કામની પ્રશંસા કરી રહી છે. ભાજપનું કહેવું છે કે વિપક્ષમાં હોવા છતાં, શશી થરૂરને આટલી મોટી જવાબદારી સોંપવામાં આવી છે. થરૂર આ જવાબદારી ખૂબ જ પ્રામાણિકપણે નિભાવી રહ્યા છે. પરંતુ કેટલાક કોંગ્રેસના નેતાઓ તેમના કામની ટીકા કરી રહ્યા છે. જે કોંગ્રેસની અંદર તેમના પ્રત્યેની નિરાશા દર્શાવે છે.

હાલ મારું ધ્યાન મિશન પર, ભારત આવીને જવાબ આપીશ: કોંગ્રેસ નેતાઓ પર થરૂરનો વળતો પ્રહાર 2 - image

Tags :