કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ સમાપ્ત! શશી થરૂરની રાહુલ ગાંધી અને ખડગે સાથે બેઠક, જુઓ શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| શશિ થરૂર X |
Shashi Tharoor Mallikarjun Kharge Rahul Gandhi Meeting : સંસદમાં ગુરુવારે કોંગ્રેસના સાંસદ શશિ થરૂર અને રાહુલ ગાંધી વચ્ચે એક સંક્ષિપ્ત પરંતુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુલાકાત થઈ હતી. આ બેઠક બાદ થરૂરે હસતાં હસતાં કહ્યું કે, "બધું બરાબર જ છે." તેમના આ નિવેદને કોંગ્રેસની અંદર ચાલી રહેલા મતભેદો અને અસંતોષના સમાચારો પર વિરામ લગાવી દીધો છે. થરૂરે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે થયેલી વાતચીતને ખૂબ જ રચનાત્મક અને સકારાત્મક ગણાવી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે, હવે તેઓ અને પાર્ટી નેતૃત્વ એક જ વાત પર સંમત થયા છે.
શું છે સમગ્ર મામલો?
ગત થોડા મહિનાઓથી શશિ થરૂર અને કોંગ્રેસ નેતૃત્વ વચ્ચે તણાવના સમાચારો આવી રહ્યા હતા. થરૂરે જાહેર રીતે સ્વીકાર કર્યો હતો કે તેમના કેટલાક મુદ્દાઓ છે, જે તેઓ પાર્ટીના મંચ પર ઉઠાવવા માંગે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ 17 વર્ષથી કોંગ્રેસમાં છે અને તેમણે ક્યારેય સંસદમાં પાર્ટીના વલણની અવહેલના કરી નથી.
મહત્ત્વની બેઠકમાં ગેરહાજરી
વિવાદની શરુઆત ત્યારે થઈ જ્યારે થરૂરે પાર્ટીની એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. જો કે, તેમણે ત્યારબાદ સ્પષ્ટતા કરી કે, તેઓ એક સાહિત્ય ઉત્સવમાં ગયા હતા અને આ અંગે તેમણે પહેલા જ પાર્ટીને જાણ કરી દીધી હતી. ઉપરાંત, કોચીમાં પાર્ટીના એક કાર્યક્રમમાં તેમની સાથે થયેલા કથિત ખરાબ વ્યવહારના સમાચારો અંગે પણ તેમણે મૌન સેવ્યું હતું.
નિવેદનોથી અફવાઓને વેગ મળ્યો
પાર્ટીની અંદર અસલી બેચેની ત્યારે વધી જ્યારે ગત વર્ષે એપ્રિલમાં પહલગામ આતંકવાદી હુમલા બાદ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકટ પ્રબંધનના વખાણ કર્યા હતા. કોંગ્રેસના અનેક નેતાઓએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ ભાજપે થરૂરને એક આંતર-સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે આમંત્રિત કર્યા હતા. જેનો તેમણે સ્વીકાર પણ કર્યો હતો. આ દળમાં કોંગ્રેસના બીજા કોઈ નેતા નહોતા, જેના કારણે તેઓ ભાજપમાં જોડાશે તેવી અફવાઓ ઉડવા લાગી હતી.
શું મતભેદોનો ઉકેલ આવ્યો?
તણાવ ત્યારે વધુ વધ્યો જ્યારે થરૂરે વડાપ્રધાનના એક ભાષણના સોશિયલ મીડિયા પર વખાણ કર્યા અને ‘ભારતીય રાજનીતિ એક પારિવારિક વ્યવસાય છે’ શીર્ષક સાથે એક લેખ લખ્યો. આ લેખમાં તેમણે વંશવાદી રાજનીતિની ટીકા કરી હતી. જેના કારણે કોંગ્રેસ નેતૃત્વ નારાજ થયું હતું. જો કે, થરૂરે વારંવાર સ્પષ્ટતા કરી કે તેમની ટિપ્પણી કોઈ રાજકીય વ્યૂહરચનાનો હિસ્સો નહીં પરંતુ રાષ્ટ્રહિતથી પ્રેરિત હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, વડાપ્રધાનના વખાણ કરવાનો અર્થ એ નથી કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, પરંતુ તે રાષ્ટ્રીય એકતાનો સંદેશ છે. હવે રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટીના આંતરિક મતભેદો ઉકેલાઈ ગયા છે.









