Get The App

‘અડવાણીજીને પણ ન્યાય મળવો જોઈએ’ નેહરુ-ઈન્દિરાના ઉલ્લેખ સાથે શશિ થરૂરનું ચોંકાવનારું નિવેદન

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
‘અડવાણીજીને પણ ન્યાય મળવો જોઈએ’ નેહરુ-ઈન્દિરાના ઉલ્લેખ સાથે શશિ થરૂરનું ચોંકાવનારું નિવેદન 1 - image

Shashi Tharoor On LK Advani, Jawahar Lal Nehru, Indira Gandhi : કોંગ્રેસના સાંસદ શશિ થરૂર એક નિવેદનના કારણે ફરી ચર્ચામાં આવી ગયા છે. આ વખતે થરૂરે જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરીને લાલકૃષ્ણ અડવાણીના રાજકીય કારકિર્દીનો બચાવ કરતું ચોંકાવનારનું નિવેદન આપ્યું છે.

થરૂરે નેહરુ-ઈન્દિરાના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો

થરૂરે કહ્યું કે, જેમ જવાહરલાલ નેહરુ કે ઈન્દિરા ગાંધીના લાંબા જાહેર જીવનને માત્ર એક ઘટનાથી માપી શકાતું નથી, તેવી જ રીતે આડવાણીના દાયકાઓના રાજકીય યોગદાનને પણ એક માત્ર મુદ્દાના આધારે સીમિત કરવું અયોગ્ય છે.

અડવાણીજીને પણ ન્યાય મળવો જોઈએ : થરૂર

થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘જેમ નેહરુજીની કેરિયર માત્ર ચીન યુદ્ધ સામેની હારથી વ્યાખ્યાયિત કરવી અયોગ્ય છે, ઈન્દિરા ગાંધીની કેરિયર માત્ર ઈમરજન્સીથી કરવી અયોગ્ય છે, તેવી જ રીતે અડવાણીના લાંબા જાહેર જીવનને માત્ર એક ઘટના સાથે જોડીને જોવું યોગ્ય નથી. અડવાણીજીને પણ ન્યાય મળવો જોઈએ.’

થરૂરે 98માં જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

થરૂરે અડવાણીને 98માં જન્મ દિવસની શુભેચ્છા આપી અને જાહેર સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું, ‘આદરણીય એલ.કે.આડવાણીજીને 98માં જન્મદિવસની શુભેચ્છાઓ ! જાહેર સેવા પ્રત્યેની તેમની નિષ્ઠા, વિનમ્રતા અને સદભાવના તથા આધુનિક ભારતની દિશા નક્કી કરવામાં તેમની ભૂમિકા અમિટ છે. તેઓ સાચા રાજનેતા છે, જેમનું જીવન પ્રેરણાદાયક રહ્યું છે.’

થરૂરના નિવેદનનો વિરોધ

બીજીતરફ થરૂરનું ટ્વિટ સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. કેટલાક યુઝર્સ તેમના નિવેદનની ટીકા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે આક્ષેપ કર્યો છે કે, થરૂર આડવાણીના રાજકીય વિવાદાસ્પદ પાસાઓને સફેદ દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ સંજય હેગડેએ કહ્યું છે કે, ‘આ દેશમાં નફરતના બીજ વાવવાને જાહેર સેવા ન કહી શકાય.

સંજય હેગડેએ થરૂરના નિવેદનનો વિરોધ કર્યો

થરૂર અને હેગડેએ એક્સ પર એકબીજા પર શાબ્કિદ પ્રહારો શરૂ કરી દીધા છે. હેગડેએ કડક શબ્દોમાં લખ્યું છે કે, ‘રથ યાત્રા કોઈ એક ઘટના નહોતી. તે ભારતીય ગણતંત્રના મૂળભૂત સિદ્ધાંતોને ઉલટાવવાની એક લાંબી યાત્રા હતી. આ યાત્રાના કારણે 2002 અને 2014 જેવી ઘટનાઓનો પાયો નખાયો. જેમ દ્રૌપદીના અપમાને મહાભારતને જન્મ આપ્યો, તેમ રથ યાત્રાની હિંસક વિરાસત આજે પણ દેશની દિશાને પ્રભાવિત કરી રહી છે. પોતાની 'શર-શય્યા' પરથી પણ તેમણે રાજધર્મનો ઉપદેશ આપ્યો નહીં.’

આ પણ વાંચો : ‘પાકિસ્તાન શાંતિ નથી ઈચ્છતું, ભારત જડબાતોડ જવાબ આપવા રહે તૈયાર’, મોહન ભાગવતનું મોટું નિવેદન

1992માં બાબરી મસ્જિદ તોડવાની ઘટના

ઉલ્લેખનીય છે કે, સોમનાથી અડવાણીની રથયાત્રા શરૂ થઈ હતી, જ્યારે યાત્રા બિહારમાં પહોંચી ત્યારે પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે યાત્રા અટકાવી હતી. આ યાત્રા ડિસેમ્બર-1992માં બાબરી મસ્જિદ તોડી પાડવાના પહેલાના માહોલને તૈયાર કરનારી એક મોટી ઘટના માનવામાં આવે છે.

આ પણ વાંચો : VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત