Get The App

શહીદ દિવસઃ PM-શાહે ભગતસિંહ-સુખદેવ-રાજગુરૂને વંદન કર્યા

Updated: Mar 23rd, 2021

GS TEAM


Google News
Google News
શહીદ દિવસઃ PM-શાહે ભગતસિંહ-સુખદેવ-રાજગુરૂને વંદન કર્યા 1 - image


- ભગત સિંહ અને તેમના સાથીદારોએ 'પબ્લિક સેફ્ટી એન્ડ ટ્રેડ ડિસ્ટ્રીબ્યુટ બિલ'ના વિરોધમાં અસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા હતા

નવી દિલ્હી, તા. 23 માર્ચ, 2021, મંગળવાર

આજે 23 માર્ચ, શહીદ દિવસ છે જેને લઈ દેશવાસીઓ આપણા વીર જવાનોને નમન કરી રહ્યા છે. 1931માં આજના દિવસે અંગ્રેજ હકુમતે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસીના ફંદા પર ચઢાવી દીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક દિગ્ગજ નેતાઓએ શહીદ દિવસના અવસર પર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. 

વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'આઝાદીના ક્રાંતિદૂત અમર શહીદ વીર ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂને શહીદ દિને શત-શત નમન. મા ભારતીના આ મહાન સપૂતોનું બલિદાન દેશની દરેક પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે, જય હિંદ!'

અમિત શાહ, જેપી નડ્ડાએ પણ વંદન કર્યા

વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, સ્વતંત્રતાના ઈતિહાસમાં શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂની વીરતા અને યોગદાનને શબ્દોમાં વર્ણિત કરવા સંભવ નથી. દેશને ગુલામીની બેડીઓમાંથી મુક્ત કરવાની તેમની તડપ અને બલિદાનને યાદ કરીને આજે પણ તમામ ભારતવાસીની આંખો ભીની થઈ જાય છે, આવા વીર બલિદાનીઓના ચરણમાં કોટિશઃ નમન.

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ આ અવસર પર ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, 'ભારત માતાના વીર સપૂત, મહાન ક્રાંતિકારી શહીદ ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવની શહીદીના દિવસ પર તેમને કોટિ-કોટિ વંદન. મા ભારતીના આ સપૂતોની શહીદીએ કરોડો યુવાનોને સ્વાધીનતા આંદોલન માટે પ્રેરિત કર્યા, તેમનું સર્વોચ્ય બલિદાન ભારતીય ઈતિહાસમાં સદૈવ અમર રહેશે. 

ઉલ્લેખનીય છે કે, આઝાદીની લડાઈ વખતે જ્યારે ભગત સિંહ અને તેમના સાથીદારોએ 'પબ્લિક સેફ્ટી એન્ડ ટ્રેડ ડિસ્ટ્રીબ્યુટ બિલ'ના વિરોધમાં અસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપસર તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી અને નિર્ધારિત દિવસના આગલા દિવસે 23 માર્ચ, 1931ના રોજ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી આપવામાં આવી હતી. 

Tags :