છત્તીસગઢના સુકમામાં નક્સલીઓ દ્વારા IED બ્લાસ્ટ, ASP આકાશ રાવ શહીદ, અનેક જવાન ઘાયલ
Naxal Attack In Chhattisgarh: છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. કોન્ટા નજીક ફુંડીગુડામાં નક્સલીઓએ ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બ્લાસ્ટ કર્યો છે. તેમણે અધિકારીની કારને ઉડાવી દીધી હતી, જેમાં કોન્ટા આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP) આકાશ રાવ ગિરપુંજે શહીદ થયા છે. જ્યારે અન્ય જવાનો ઘાયલ થયાના અહેવાલ છે.
નક્સલીઓએ 10મી જૂન બંધનું એલાન આપ્યું હતું
અહેવાલો અનુસાર, નક્સલીઓએ મંગળવારે (10મી જૂન) બંધનું એલાન આપ્યું હતું. જેને લઈને એએસપી આકાશ રાવ તેમની ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તે કોન્ટા-એરાબોરા રોડ પર નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા IED બ્લાસ્ટ થયો હતો. જેમાં ASP આકાશ રાવ ગિરપુંજે શહીદ થયા છે અને કેટલાક જવાનો ઘાયલ થયા છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એએસપી આકાશ રાવ ગિરીપુંજે રાયપુર અને મહાસમુંદમાં ફરજ બજાવતા હતા. તેમનો પરિવાર રાયપુરમાં જ રહે છે.
આ પણ વાંચો: મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનમાંથી 8 યાત્રી પટકાયા, 5ના મોતની આશંકા
અત્યાર સુધીમાં 7 નક્સલીઓ ઠાર
ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના બીજાપુર જિલ્લાનું ગાઢ જંગલ, જે એક સમયે નક્સલીઓના ડર અને આતંકનો પર્યાય માનવામાં આવતું હતું, તે હવે સુરક્ષા દળોની વ્યૂહાત્મક સફળતાનું સાક્ષી બની રહ્યું છે. પાંચમી, છઠ્ઠી અને સાતમી જૂન 2025ના રોજ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ સાત નક્સલીઓ ઠાર મરાયા છે. મહત્ત્વની વાત એ છે કે આ માર્યા ગયેલા નક્સલીઓમાં બે ટોચના લીડર સુધાકર અને ભાસ્કરનો પણ સમાવેશ થાય છે.