India

રાજસ્થાનમાં સરકારી શાળાના બે વર્ગખંડ ધરાશાયી થતાં સાત બાળકોનાં મોત, 28 ઘાયલ

By GS TEAM
26 Jul 20252 mins read
રાજસ્થાનમાં સરકારી શાળાના બે વર્ગખંડ ધરાશાયી થતાં સાત બાળકોનાં મોત, 28 ઘાયલ

- સવારે શાળામાં પ્રાર્થના સમયે બનેલી ઘટના 

- ઘાયલો પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર : કલેક્ટરે તપાસ પછી દોષિતો સામે કાર્યવાહીની ખાતરી આપી

ઝાલાવાડ : રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાની સરકારી શાળાનો એક ભાગ ધરાશયી થતાં સાત બાળકોનાં મોત થયા છે અને ૨૮ ઘાયલ થયા છે. ઘાયલો પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. આ ઘટના સવારે શાળામા પ્રાર્થના સમયે સર્જાઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર પિપલોદી સરકારી શાળાના ધો. ૬ અને ૭ના વર્ગખંડો ધરાશયી થતાં ૩૫ બાળકો દટાઇ ગયા હતાં. 

કોંક્રીટ, ઇંટો અને પથ્થરોનો ઢગલો થઇ ગયો હતો. ગભરાયેલા માતા-પિતા અને શિક્ષકો સહિત અનેક લોકોએ બચાવ કાર્યમાં મદદ કરી હતી. કાટમાળમાં બાળકોને બહાર કાઢવામાં પણ મદદ કરી હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અમને સવારે ૭.૪૫ વાગ્યે પિપલોદી ગામની આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. 

ઝાલાવાડ જિલ્લા હેડકવાર્ટરથી ૮૦ કિમી દૂર આવેલા મનોહરથાનામાં આવેલા પોલીસ સ્ટેશનના એસએચઓ નંદ કિશોર વર્માએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સાત લોકોનાં મોત થયા છે. 

જયપુરથી ૩૪૦ કિલોમીટર દૂર આવેલા ઝાલાવાડના મનોહરથાના બ્લોકમાં આવેલી શાળામાં મૃત્યુ પામેલા પાંચ બાળકોની ઓળખ કરી લેવામાં આવી છે. આ બાળકોની ઓળખ કુંદર, કન્હા, રાયદાસ, અનુરાધા અને બાદલ ભીલ તરીકે કરવામાં આવી છે. 

ઘાયલોને ઝાલાવાડ હોસ્પિટલ અને મનોહરથાના હેલ્થ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતાં. જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર ૯ ઘાયલોને આઇસીયુમાં રાખવામાં આવ્યા છે. 

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, મુખ્યપ્રધાન ભજનલાલ શર્માએ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું. 

શાળાના એક વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર શાળાની દીવાલમાં ઝાડની ડાળીઓનો વિકાસ થયો હતો અને તેમાંથી સતત પાણી  લીકેજ થઇ રહ્યું હતું.