Operation Sindhu : યુદ્ધગ્રસ્ત ઈરાનથી વધુ 407 ભારતીયોને લઈ બે વિમાન દિલ્હી પહોંચ્યા
Operation Sindhu Latest Update: ભારત સરકાર ઓપરેશન સિંધુ ચલાવીને યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢી રહી છે. શુક્રવારે (20 જૂન) રાત્રે ઈરાનના મશહદથી વધુ બે ફ્લાઇટમાં 407 ભારતીયો પોતાના દેશ પરત ફર્યા હતા. તેમાના મોટાભાગના વિદ્યાર્થીઓ છે. ઉલ્લેખનીય છે કે યુદ્ધગ્રસ્ત ઈરાનમાંથી અત્યાર સુધીમાં કુલ 517 લોકોને બચાવી લેવામાં આવ્યા છે જેમાં પ્રથમ ફ્લાઇટમાં 110, બીજીમાં 290 અને ત્રીજી ફ્લાઇટમાં 117 લોકોને વતન પરત લવાયાની માહિતી છે.
આજે 2 ફ્લાઇટ્સ આવવાની હતી
ઈરાનની સરકારે ભારતીયોને તેમના દેશમાં લાવવા માટે મશહદથી 3 ફ્લાઇટ મોકલવાની જાહેરાત કરી હતી, જેમાંથી એક ફ્લાઇટ શુક્રવારે રાત્રે આવી હતી. જ્યારે બીજી ફ્લાઇટ સવારે આવી હતી. જેમાં કુલ મળીને 407 લોકોને વતન પરત લવાયા હતા. જોકે હવે આજે દિવસ દરમિયાન વધુ એક ફ્લાઇટ આવશે. આ 3 ફ્લાઇટ્સ દ્વારા લગભગ એક હજાર ભારતીયો ભારત પહોંચશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ દુનિયાભરમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, PM મોદીએ કહ્યું- આખી દુનિયા જોડાઈ
રાહતનો લીધો શ્વાસ
ભારતીય દૂતાવાસ પહેલા ભારતીયોને તેહરાનથી કોમ અને પછી ત્યાંથી મશહદ લાવ્યું. હવે તેમને ઈરાનના અધિકારીઓની મદદથી ભારત લાવવામાં આવી રહ્યા છે. શુક્રવારે રાત્રે, જ્યારે પહેલી ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી, ત્યારે તેમાં આવેલા ભારતીયોએ રાહતનો શ્વાસ લીધો. પછી તેમણે 'ભારત માતા કી જય' અને 'હિન્દુસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા. ઈરાનથી સુરક્ષિત પરત ફરવા બદલ તેઓએ મોદી સરકારનો આભાર માન્યો હતો.
ભારતીયોએ પોતાની આપવીતી વર્ણવી
ઈરાનથી પરત ફરેલી નોઈડાની રહેવાસી તાઝકિયા ફાતિમાએ કહ્યું કે, 'ઈરાનમાં પરિસ્થિતિ સારી નથી. ઇઝરાયલી હુમલાથી ત્યાં ભારે વિનાશ થયો છે. ઇમારતો અને રસ્તાઓ તૂટી ગયા છે. ઘણા વિસ્તારોમાં સન્નાટો ફેલાઈ ગયો છે, લોકો પોતાના ઘર છોડીને નીકળી ગયા છે. અમે તો વિચાર્યું હતું કે અમે ક્યારેય ત્યાંથી બહાર નહીં નીકળી શકીએ પરંતુ અમે ભારત સરકારના આભારી છીએ કે તેમણે અમારા વિશે વિચાર્યું અને આજે અમે અમારા વતન, અમારા પરિવાર સાથે છીએ.'
ઈરાનમાં સ્થિતિ ચિંતાજનક
આલિયા બતુલે કહ્યું કે, 'મારા વતન પાછા ફર્યા પછી મને કેવું લાગે છે તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. ઈરાનમાં પરિસ્થિતિ જોઈને હું ચિંતિત થઈ ગઈ હતી. જોકે અમને હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ ડર હતો કે હોટલ પર ગમે ત્યારે મિસાઇલથી હુમલો થશે. ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, હું ભારત સરકારની આભારી છું કે તેમના પ્રયાસોને કારણે અમે ઈરાનમાં યુદ્ધમાં ફસાઈ જવાથી બચી ગયા. ભારતીય દૂતાવાસે અમને સંપૂર્ણ મદદ કરી અને અમને પાછા મોકલ્યા.'