- નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વસ્તરે ઉચ્ચ સ્થાને બેસાડી દીધું
- શી-જિનપિંગ સાથેની મંત્રણામાં મોદીએ સરહદી વિવાદ, વૈશ્વિક સલામતી અને ત્રાસવાદ અંગે ચર્ચા કરી : સાથે સંબંધો સુધારવા સંમત
નવી દિલ્હી : ચીનના તિયેનજિનમાં મળેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓની) પરિષદમાં વિશ્વના વિવિધ દેશોની સરકારોના વડાઓ વચ્ચે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા થઈ. નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ શી-જિનપિંગ સાથે લંબાણપૂર્વક સઘન ચર્ચા કરી હતી. વિશ્વની બે પ્રબળ મહાસત્તાઓના નેતાઓએ મોદીની વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, તે સાથે ભારતની વૈશ્વિક પ્રતિભા પણ ઉપસી આવી હતી.
આ પરિષદમાં મોદીએ ત્રાસવાદ અંગે સખત શબ્દો કહેતાં જણાવ્યું હતું કે : તે માનવતા સામેની સૌથી ગંભીર ભીતિ છે. આ સાથે ત્રાસવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા તેઓએ વિશ્વ સમાજને એલાન આપ્યું હતું. સાથે રાજ્યાશ્રિત ત્રાસવાદનો ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું કે, વિશ્વ સમાજે તે અંગેનાં બેવડા ધોરણોનો ત્યાગ કરવો જ પડશે.
ભારતના વડાપ્રધાને તેઓના વક્તવ્યમાં પહેલગાંવ હુમલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પરિષદ દરમિયાન વડાપ્રધાને ચીનના પ્રમુખ શી-જિનપિંગ સાથેની મંત્રણામાં સૌથી વધુ ભાર સરહદી વિવાદ પર મુકયો. આથી શી-જિનપિંગ તે વિવાદ ઉકેલવા બંને દેશોની ટુકડીઓ રચી તે અંગે વિમર્શ કરવા સહમત થયા હતા. આ પછી બંને નેતાઓએ વૈશ્વિક પરિસ્થિતિ, વિશ્વ શાંતિ તથા વ્યાપાર વૃદ્ધિ વિષે પણ ચર્ચા કરી હતી.
આ ચર્ચા દરમ્યાન કૈલાસ માન સરોવર યાત્રા ફરી શરૂ કરવા જિનપિંગ સંમત થયા હતા. તેમજ ભારત- ચીન વચ્ચે સીધી વિમાન સેવા માટે પણ સંમત થયા હતા.
રશિયાના પ્રમુખ પુતિન સાથે આશરે ૫૦ મિનિટ સુધી બંધ મોટરમાં કરેલી મંત્રણા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રમુખ પુતિનને યુક્રેન યુદ્ધ વહેલામાં વહેલી તકે બંધ કરવા સમજાવી શકયા હતા. હવે જોવાનું તે રહે છે કે નરેન્દ્ર મોદીની સમજાવટ કેટલી અસરકારક રહે છે.
આ પરિષદ દરમિયાન વડાપ્રધાન મોદીએ રશિયાના પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ સાથે સમાન સ્તરે વાત કરી હતી. તે દર્શાવે છે કે વિશ્વની બે સબળ સત્તાઓ સાથે પણ ખુલ્લા મને ચર્ચા કરી મોદીએ ભારતને વૈશ્વિક સ્તરે ઉચ્ચ આસનો પૈકીના એક ઉચ્ચ આસને બેસાડી દીધુ છે. એસસીઓમાં લગભગ તમામ દેશે પહેલગાંવ હુમલાની નિંદા કરી તે મોદીની ઘણી મોટી જીત હતી.


