ચંદ્રયાન-3 મિશનમાં મહત્વની ભૂમિકા ભજવનારા વિજ્ઞાનીનું હૃદયરોગથી નિધન
- ચંદ્રયાન-સૂર્યયાનની સફળતા પર કાજળનું ટપકું
- ઈસરોનાં વૈજ્ઞાનિક વલરમતિ લોન્ચિંંગનું કાઉન્ટડાઉન સંભાળતાં હતાં : તેઓ અસ્વસ્થ થતાં સારવાર અપાઈ રહી પરંતુ તે પ્રયત્નો નિષ્ફળ ગયા
ચેન્નાઈ : દેશ એક તરફ ચંદ્રયાન-૩ અને સૂર્યયાનની સફળતાનો જશ્ન મનાવે છે, ત્યારે 'ઈસરો' તરફથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. ઈસરોનાં વિજ્ઞાની એન. વલરમતિનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેઓ રોકેટ-લોન્ચિંગની જવાબદારી સંભાળતાં હતાં. ચંદ્રયાન-૩નાં લોન્ચિંગનું કાઉન્ટ-ડાઉન તેમણે જ સંભાળ્યું હતું.
ઈસરોનાં સૂત્રો જણાવે છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ અસ્વસ્થ રહેતા હતા. તેથી તેઓને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓને બને તેટલી તમામ સારવાર આપવામાં આવી પરંતુ તે તમામ પ્રયાસો નિષ્ફળ ગયા.
ઉલ્લેખનીય છે કે, ઈસરોના જેટલા લોન્ચ થતાં હતા તેમાં કાઉન્ટડાઉન સમયે જે અવાજ સંભળાતો હતો તે એન. વલરમતિનો હતો. તેઓનું અંતિમ મિશન ચંદ્રયાન-૩ હતું. ચંદ્રયાન-૩, ૧૪ જુલાઈએ શ્રી હરિકોટાથી લોન્ચ કરાયું હતું. તેના કાઉન્ટ-ડાઉનમાં જે અવાજ સંભળાતો હતો તે વૈજ્ઞાનિક એન. વલરમતિનો હતો.
તમિળનાડુનાં અલિયાપુરમાં જન્મેલાં આ વિજ્ઞાનીએ ચેન્નાઈમાં અંતિમ શ્વાસ લીધા.
ચંદ્રયાન-૩ ૨૩મી ઓગસ્ટે ચંદ્રના સાઉથ પોલ ઉપર સોફટ લેન્ડીંગ કર્યું હતું. તે સાથે વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાને પોતાનું કામ શરૂ કર્યું સાથે સંશોધન પણ શરૂ કર્યું છે. પ્રજ્ઞાન-રોવર ૧૦ દિવસ સુધી વણઉકેલ્યા પ્રશ્નો ઉકેલવામાં વ્યસ્ત બની રહ્યું તે પછી તે 'સ્લીપ-મોડ'માં આવી ગયું છે. ચંદ્રના દ.ધુ્રવ ઉપર પહોંચનારો ભારત દુનિયામાં પહેલો દેશ છે. હવે ત્યાં એક લાંબી રાત્રી શરૂ થઈ ગઈ છે. માઈનસ ૨૦૦ ડીગ્રી સેલ્સિયસે પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર માટે કામ કરવું મુશ્કેલ છે, અસંભવ છે. દરમિયાન ઈસરોએ શનિવારે પોતાનું સૂર્ય મિશન - આદિત્ય એલ-૧ લોન્ચ કર્યું છે. હવે 'ગગનયાન'ની તૈયારીઓ ચાલે છે. તેવા આવા ભારતના યશોજ્વલ મુખ ઉપર એન વલરમતિ કાજળનું ટપકું બની રહ્યાં છે.