'રેરા બંધ જ કરી દેવો જોઈએ...' રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પર કેમ ભડકી સુપ્રીમ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court on RERA : સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) ની કામગીરી પર ભારે નારાજગી વ્યક્ત કરતા અત્યંત આકરી ટિપ્પણી કરી છે. હિમાચલ પ્રદેશ રેરા ઓફિસને શિમલાથી ધર્મશાળા ખસેડવા અંગેની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, રેરા જે હેતુ માટે બનાવવામાં આવી હતી તે પૂરો કરવામાં નિષ્ફળ રહી છે.
શું કહ્યું સુપ્રીમ કોર્ટે
ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે કહ્યું, "રેરા ડિફોલ્ટ કરનારા બિલ્ડરોને મદદ કરવા સિવાય બીજું કંઈ કરી રહી નથી. જે ગ્રાહકો માટે આ સંસ્થા બની હતી, તેઓ આજે નિરાશ અને હતાશ છે." કોર્ટે તીખો પ્રહાર કરતા કહ્યું કે, રેરા હવે નિવૃત્ત IAS અને વહીવટી અધિકારીઓ માટે 'પુનર્વસન કેન્દ્ર' બની ગઈ છે. આ અધિકારીઓ સંસ્થાના મૂળ ઉદ્દેશ્યને નિષ્ફળ બનાવી રહ્યા છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો આ સંસ્થા સામાન્ય નાગરિકોને રાહત ન આપી શકતી હોય, તો તેને સમાપ્ત (Abolish) કરી દેવી જોઈએ, કોર્ટને તેમાં કોઈ વાંધો નથી.
હિમાચલ રેરા ઓફિસ શિફ્ટ કરવાનો વિવાદ
આ સમગ્ર મામલો હિમાચલ પ્રદેશ સરકારના જૂન 2025 ના એક નિર્ણયથી શરૂ થયો હતો, જેમાં રેરા ઓફિસને શિમલાથી ધર્મશાળા ખસેડવાની જાહેરાત કરાઈ હતી. હિમાચલ હાઈકોર્ટે આ નિર્ણય પર રોક લગાવી હતી, જેને સુપ્રીમ કોર્ટે હવે હટાવી દીધી છે.
કોર્ટનો નિર્ણય: સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને રેરા ઓફિસ ધર્મશાળા ખસેડવાની મંજૂરી આપી છે.
અપીલની સત્તા: સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે તે માટે, રેરાના આદેશો સામે અપીલ સાંભળવાની સત્તા પણ શિમલાના જિલ્લા જજ પાસેથી લઈને ધર્મશાળાના જિલ્લા જજને સોંપવામાં આવી છે.
નિવૃત્ત અધિકારીઓની નિમણૂક પર સવાલ
જ્યારે બેન્ચને જાણ કરવામાં આવી કે રેરામાં નિવૃત્ત IAS અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે ચીફ જસ્ટિસે પૂછ્યું કે, "એક નિવૃત્ત વહીવટી અધિકારી શહેરના વિકાસમાં કેવી રીતે મદદ કરી શકે? તમારે કોઈ એવા આર્કિટેક્ટ કે પર્યાવરણ પ્રેમીની સેવા લેવી જોઈએ જે સ્થાનિક વિસ્તાર અને તેની જરૂરિયાતોને સમજતા હોય."
રેરા વિશે અગાઉની ફટકાર
આ પહેલીવાર નથી જ્યારે સુપ્રીમ કોર્ટે રેરા પર ગુસ્સો વ્યક્ત કર્યો હોય.
સપ્ટેમ્બર 2024: કોર્ટે રેરાને 'ભૂતપૂર્વ અમલદારોના અડ્ડા' સમાન ગણાવી હતી.
ફેબ્રુઆરી 2022: બિલ્ડર-બાયર એગ્રીમેન્ટ કેસમાં પણ કોર્ટે રાજ્યોના રેરા નિયમોમાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીથી સ્પષ્ટ થાય છે કે દેશભરમાં રેરાની કાર્યપ્રણાલીમાં મોટા ફેરફારો અને જવાબદારી નક્કી કરવાની તાતી જરૂરિયાત છે, જેથી મકાન ખરીદનારા સામાન્ય લોકોના હિતોનું ખરેખર રક્ષણ થઈ શકે.








