કતારમાં પિતા અને ભારતમાં માતા.... બાળકો કોને મળશે? સુપ્રીમ કોર્ટે કર્યો અનોખો ન્યાય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - ENVATO) |
Children Custody Qatar: સુપ્રીમ કોર્ટે બાળકોની કસ્ટડીના એક મહત્ત્વપૂર્ણ કેસમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના ચુકાદાને રદબાતલ ઠેરવ્યો છે. હાઈકોર્ટે બે સગીર બાળકોની કસ્ટડી તેમની માતાને સોંપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે હાઈકોર્ટે 'બાલ કલ્યાણ'ના સિદ્ધાંતને સમજવામાં ભૂલ કરી છે અને બાળકોની ઈચ્છા તેમજ આસપાસની પરિસ્થિતિઓને નજરઅંદાજ કરી છે. જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટીની બેન્ચે આ મામલાને ફરીથી વિચારણા માટે હાઈકોર્ટમાં મોકલી આપ્યો છે અને 4 મહિનામાં નવો નિર્ણય લેવા આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટનું અવલોકન
બાળકોએ પિતા સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટીની બેન્ચે નોંધ્યું કે, કાઉન્સેલિંગ રિપોર્ટ મુજબ બંને બાળકોએ તેમના પિતા સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે બાળકોનો જન્મ કતારમાં થયો હતો અને ત્યાંની યાદો બહુ ઓછી હતી, તેમ છતાં તેઓ પિતા સાથે રહેવા અને ફરવા માટે વધુ ઉત્સાહિત હતા.
શું છે આખો મામલો?
આ કિસ્સો કતારમાં જન્મેલા અને ઉછરેલા બે સગીર છોકરાઓનો છે. તેમના માતા-પિતા ભારતીય નાગરિક છે અને પિતા કતારમાં એન્જિનિયર છે. 2015માં શ્રીનગરમાં તેમના લગ્ન થયા હતા. પરંતુ પતિ-પત્ની વચ્ચે વિવાદ થતા કતારની કોર્ટે કસ્ટડી માતાને સોંપી હતી અને પિતાને ગાર્ડિયન(અભિભાવક) રાખ્યા હતા.
માતા પિતાની મંજૂરી વગર બાળકોને ભારત લઈ આવી
વિવાદ ત્યારે વકર્યો જ્યારે માતા બાળકોના પિતાની સંમતિ કે કતારની કોર્ટની પરવાનગી વગર જ બાળકોને ચાલુ સ્કૂલે શ્રીનગર લઈ આવી. આ પછી મામલો ભારતની કોર્ટમાં પહોંચ્યો. શ્રીનગરની ફેમિલી કોર્ટે કસ્ટડી પિતાને સોંપી હતી, પણ હાઈકોર્ટે તે નિર્ણય ઉલટાવી ફરી માતાને કસ્ટડી આપી દીધી હતી.
આ પણ વાંચો: ભાજપના રિતુ તાવડેનું BMCના મેયર બનવાનું નક્કી! શિંદેની શિવસેનાને મળ્યું ડેપ્યુટી મેયર પદ
બાળકોને શ્રીનગરમાં મુશ્કેલી પડી રહી છે
કોર્ટે જોયું કે બાળકો માત્ર અંગ્રેજી બોલે છે, જેના કારણે તેમને શ્રીનગરમાં સ્થાનિક બાળકો સાથે વાતચીત કરવામાં તકલીફ પડે છે. જ્યારે બાળકોને પૂછવામાં આવ્યું કે કતારમાં તેમની સંભાળ કોણ રાખશે, ત્યારે મોટા દીકરા આત્મવિશ્વાસ સાથે કહ્યું કે પિતાની હાજરી જ પૂરતી છે. નાનો દીકરો પણ પિતા સાથે જવા માટે ખૂબ જ આતુર હતો અને માતા વગર રહેવા માટે તૈયાર જણાતો હતો.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની ભૂલ સુધારી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કસ્ટડી નક્કી કરવામાં માત્ર 'બાળકનું કલ્યાણ' જ નહીં, પણ માતા-પિતાનું વર્તન, બાળકોનું શિક્ષણ, આર્થિક ક્ષમતા અને જૂના કોર્ટ ઓર્ડર પણ મહત્ત્વના છે. હાઈકોર્ટ એ જોવામાં નિષ્ફળ રહી કે માતાએ ચાલુ અભ્યાસે બાળકોને કતારથી ભારત લાવીને ભૂલ કરી છે અને કતારની કોર્ટના આદેશોનું પણ ઉલ્લંઘન કર્યું છે. આ તમામ પાસાઓને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો જૂનો આદેશ રદ કર્યો છે.









