Get The App

2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન 1 - image

- કેન્દ્રીય પ્રધાન ગડકરીની સંસદમાં જાહેરાત

- ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે : રૂ. 1500 કરોડનું ઇંધણ બચશે,સરકારની આવકમાં રૂ. 6000 કરોડનો વધારો થશે

નવી દિલ્હી : સેટેલાઇટ આધારિત ટોલ ક્લેકશન સિસ્ટમ ૨૦૨૬નાં અંત સુધી સમગ્ર દેશમાં શરૂ થઇ જશે. જેના કારણે યાત્રીઓને ટોલ પ્લાઝા પર રોકાવું પડશે નહીં અને સરકારની  આવકમાં વધારો થશે તેમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

એક પ્રશ્રનાં જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાને જણાવ્યું હતું કે નવી ટેકનોલોજી સેટેલાઇટ અને એઆઇ આધારિત હશે અને વાહન ચાલકોને ટોલ પ્લાઝા પર રોકાવું પડશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે આ સિસ્ટમને કારણે ૧૫૦૦ કરોડ રૂપિયાનું ઇઁધણ બચશે અને સરકારની આવકમાં ૬૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થશે. ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય શૂન્ય થઇ જશે.

તેમણે જણાવ્યું હતું કે મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલ (એમએલએફએફ)એ ખૂબ જ સારી સુવિધા છે. અગાઉ આપણને ટોલ પર ચુકવણી પડતી હતી જેમાં ૩ થી ૧૦ મિનિટનો સમય લાગતો હતો. ત્યારબાદ ફાસ્ટટેગને કારણે સમય ઘટીને ૬૦ સેકન્ડ કે તેનાથી પણ ઓછો થઇ ગયો. અમારી આવકમાં ૫૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ફાસ્ટટેગના સ્થાને આવેલ એમએલએફએફમાં કાર ટોલ પરથી મહત્તમ ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થઇ શકે છે અને તેમને ટોલ પર કોઇ પણ રોકશે નહીં. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારો પ્રયાસ છે કે આ સમય ઘટીને શૂન્ય મિનિટ થઇ જાય. જેમાં સેટેલાઇટ તથા ફાસ્ટટેગ તથા એઆઇની મદદથી નંબર પ્લેટની ઓળખ કરવામાં આવશે.

ગડકરીએ જણાવ્યું હતું કે ૨૦૨૬નાં અંત સુધીમાં અમે આ કાર્ય ૧૦૦ ટકા પૂર્ણ  કરી લઇશું. એક વખત આ કાર્ય પૂર્ણ થઇ ગયા પછી ૧૫૦૦ કરોડ રૂપિયાનું ઇંધણ બચશે તથા અમારી આવકમાં ૬૦૦૦ રૂપિયાનો વધારો થશે.