Get The App

'શિંદેના 35 ધારાસભ્યો રાજીનામું આપશે', દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
'શિંદેના 35 ધારાસભ્યો રાજીનામું આપશે', દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ 1 - image

Sanjay Raut On Shinde : મહારાષ્ટ્રમાં થઈ રહેલી નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પૈસાનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો હોવાના દાવા પર સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે. સંજય રાઉતે ચૂંટણીમાં પૈસાની લેતીદેતી મામલે ટીકા કરી હતી. આ સાથે આરોપ લગાવ્યો હતો કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ સરકાર દ્વારા મોટાપાયે પૈસાની રમત ચાલી રહી છે. ચૂંટણીપંચે આમાં ધ્યાન દેવું જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે, 'શિંદે જૂથ ભાજપ દ્વારા બનાવવામાં આવ્યું હતું. રાજકારણ માટે પૈસાનો ઉપયોગ કરવો એ લોકશાહી માટે ખતરો છે. શિંદેના 35 ધારાસભ્યો રાજીનામું આપશે....'

શિંદેના 35 ધારાસભ્યો રાજીનામું આપશે: સંજય રાઉત

મહારાષ્ટ્રમાં ચૂંટણી માહોલ વચ્ચે મહાયુતિના પક્ષો વચ્ચે વિવાદ વધતો જોવા મળી રહ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે કહ્યું હતું કે, 2 ડિસેમ્બર સુધી મહાયુતિને ચાલુ રાખવાની જરૂર છે. આ સૂચવે છે કે ગઠબંધનમાં બધું બરાબર નથી. શિવસેના(ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે હવે આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી છે.

એક મહિના સુધી બીમારીના કારણે રાજનીતિથી દૂર રહ્યા બાદ મીડિયા સમક્ષ સામે આવીને સંજય રાઉતે શિંદે જૂથ અને ભાજપ પર પ્રહાર કર્યા છે. સંજય રાઉતે દાવો કર્યો હતો કે, એકનાથ શિંદેના 35 ધારાસભ્યો પક્ષપલટો કરવાના છે. રવિન્દ્ર ચવ્હાણને આ જ કારણે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સંજય રાઉતે શું કહ્યું?

સંજય રાઉતે કહ્યું કે, 'શિંદેની પાર્ટીને શિવસેના માનવામાં તૈયાર નથી. ભાજપ પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણની નિયુક્તિ આ કામ માટે જ કરાઈ છે. શિંદે વિચારે છે કે, દિલ્હીના બે નેતા તેમની સાથે છે, પરંતુ તેઓ કોઈના નથી.'

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં NDAમાં તણાવ! શિંદેના નેતાના ઘરે રેડ પડતાં શિવસેના ભડકી, ભાજપના ઈશારે કાર્યવાહીનો આરોપ

તેમણે વધુમાં કહ્યું કે, 'કાલે ચૂંટણી છે, અને મંત્રી કહે છે કે 1લી તારીખે લક્ષ્મી દર્શન થશે. ચૂંટણી પંચે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ/નગર પરિષદની ચૂંટણીઓ પર આટલા પૈસા પહેલા ક્યારેય ખર્ચાયા નથી. હવે એક જ ચૂંટણી માટે 10-15 કરોડ રૂપિયાનું બજેટ અને 5-6 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવી રહ્યા છે. આ ત્રણ શાસક પક્ષો વચ્ચેની સ્પર્ધા છે.' તેમણે સવાલ ઉઠાવ્યો કે, 'આટલાં કરોડો રૂપિયા ખર્ચીને તમે કોના માટે લડી રહ્યા છો? આ રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયાની સંસ્કૃતિ સંપૂર્ણપણે નાશ પામી છે. ખર્ચ કરવાની કોઈ મર્યાદા નથી.'