Get The App

શિંદે સેનાના ધારાસભ્ય શબ્દોની મર્યાદા ભૂલ્યાં! મતદારોને બેફામ અપશબ્દો કહ્યા

Updated: Jan 6th, 2025

GS TEAM

Google News
Google News
sanjay Gaikwad

Sanjay Gaikwad: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનના દિગ્ગજ નેતાઓ જાહેર સભામાં પોતાનું ભાન ભૂલી બેફામ નિવેદનો આપી રહ્યા છે. બારામતીમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી અધ્યક્ષ અજિત પવારે મતદારોને ખખડાવ્યા હતા. બીજી બાજુ શિવસેના શિંદે જૂથના ધારાસભ્ય સંજય ગાયકવાડે મતદારો પર આક્ષેપ કર્યો હતો.

સંજય ગાયકવાડે બુલઢાણામાં એક જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે, ‘અહીં મતદારો બે-પાંચ હજાર રૂપિયા અને દારૂ-માંસ માટે વેચાઈ જાય છે. તેમના કરતાં તો રૂપલલના સારી છે. તમે મને એક મત આપી શકતા નથી, તમને તો માત્ર દારૂ, માંસ અને રૂપિયા જોઈએ.’



‘જો હું હારી ગયો હોત તો તમામ પ્રોજેક્ટ અટવાઈ પડતાં’

સંજય ગાયકવાડે કહ્યું કે, ‘અરે 2-2 હજારમાં વેચાઈ ગયા....... તેમના કરતાં તો રૂપલલના સારી છે. એક બાજુ આ ધારાસભ્ય તમારી દીકરીઓના કલ્યાણનો પ્રયાસ કરી રહ્યો છે. વિધાનસભા ક્ષેત્રનો વિકાસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમાં મારો કોઈ સ્વાર્થ નથી. પરંતુ (અમુક લોકો) પૈસા-માંસ-દારૂ આપી સંજય ગાયકવાડને હરાવવા માગતા હતા (અને મતદારો વેચાઈ પણ ગયાં). જો હું હારી ગયો હોત તો શું આ તમામ પ્રોજેક્ટ પૂરા થયા હોત.’

માત્ર 841 મત માર્જિનથી જીત્યા

સંજય ગાયકવાડ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બુલઢાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ માત્ર 841 મતોના માર્જિનથી જીત્યા હતા. તેમની જીતના ભાગરૂપે સત્કાર સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. તે સમયે તેમણે ઓછા મત મળવા બદલ મતદારો પર પોતાનો રોષ ઠાલવ્યો હતો.

વિવાદાસ્પદ નિવેદનો માટે હંમેશા ચર્ચામાં

સંજય ગાયકવાડ હંમેશાથી વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામાં રહે છે. તેઓ વિપક્ષને વખોડવામાં અનેક વખત વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. અનામત મુદ્દે કોંગ્રેસની ટીકા કરતાં તેમની જીપ લપસી હતી  અને તેમણે રાહુલ ગાંધીની જીભ કાપીને લાવનારાને રૂ. 11 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. ગાયકવાડે પોતાનું કામ ગણાવતાં મતદારોને કહ્યું હતું કે, ‘છેલ્લા પાંચ વર્ષમાં મેં વધુ પડતું ફંડ મૂર્તિઓ બનાવવા પાછળ ખર્ચ્યું છે. બુલઢાણામાં 5 કે 10 નહીં, પરંતુ 25 મહાપુરુષોની નવી મૂર્તિઓ સ્થાપિત કરી છે.’

શિંદે સેનાના ધારાસભ્ય શબ્દોની મર્યાદા ભૂલ્યાં! મતદારોને બેફામ અપશબ્દો કહ્યા 2 - image