વડાપ્રધાન મોદીના હસ્તે નવા સંસદ ભવનમાં સ્થાપિત કરાયેલા 'સેંગોલ' વિશે જાણો રસપ્રદ માહિતી
14 ઓગસ્ટ 1947ના રોજ ભારતમાં સત્તાનું ટ્રાન્સફર થયું ત્યારે આ સેંગોલ દ્વારા કરવામાં આવ્યું હતું
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન મોદીના હસ્તે સંસદ ભવનમાં સેંગોલની સ્થાપના કરાઈ હતી. તેની સાથે જ આ ઐતિહાસિક ક્ષણને આખા ભારતે જોઈ હતી. આ અંગે અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે નવા બિલ્ડિંગમાં સેંગોલની સ્થાપના કરવામાં આવશે. સંસદ ભવનનાં ઉદ્ઘાટનની સાથે ઐતિહાસિક પરંપરાને પણ જીવંત કરવામાં આવશે. આ પરંપરાને સેંગોલ કહેવામાં આવે છે, તે યુગો સાથે જોડાયેલી પરંપરા છે. તેને તમિલમાં સેંગોલ કહેવામાં આવે છે અને તેનો અર્થ સંપત્તિથી સંપન્ન થાય છે. નવા સંસદ ભવનમાં તેને સ્પીકરની સીટ પાસે લગાવવામાં આવશે. જે સેંગોલ સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે તેની ટોચ પર નંદી બિરાજમાન છે.
સેંગોલ ભારતની આઝાદીનું પ્રતીક છે
સેંગોલનો ઈતિહાસ ઘણો જૂનો છે. 14 ઓગસ્ટ 1947ના રોજ ભારતમાં સત્તાનું ટ્રાન્સફર થયું ત્યારે આ સેંગોલ દ્વારા કરવામાં આવ્યું હતું. એક રીતે સેંગોલ ભારતની આઝાદીનું પ્રતીક છે. તે સમયે સેંગોલ સત્તાના સ્થાનાંતરણનું પ્રતીક બની ગયું હતું. વર્ષ 1947માં જ્યારે લોર્ડ માઉન્ટબેટને પંડિત નેહરુને પૂછ્યું કે સત્તાનું ટ્રાન્સફર કેવી રીતે કરવું. તેથી પંડિત નેહરુએ આ માટે રાજા ગોપાલાચારીની સલાહ લીધી હતી. તેમણે સેંગોલ પ્રક્રિયા વિશે સમજાવ્યું. આ પછી તેને તમિલનાડુથી લાવવામાં આવ્યો હતો અને અડધી રાત્રે પંડિત નેહરુએ તેનો સ્વીકાર કર્યો હતો.
સેંગોલ સત્તાના સ્થાનાંતરણનું પ્રતીક
અમિત શાહે કહ્યું કે સેંગોલનો ઈતિહાસ ખુબ જૂનો છે, પરંતુ 75 વર્ષ બાદ પણ દેશના મોટાભાગના નાગરિકો તેનાથી અજાણ્યા છે. આપણા ઈતિહાસમાં સેંગોલની મહત્વની ભૂમિકા રહી હતી. આ સેંગોલ સત્તાના સ્થાનાંતરણનું પ્રતીક બની ગયું. જ્યારે પીએમ મોદીને આ અંગેની માહિતી મળી તો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી. પછી નક્કી થયું કે તેને દેશ સમક્ષ મુકવામાં આવે. આ માટે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો.
લોકસભા અધ્યક્ષની સીટ પાસે સ્થાપિત થશે સેંગોલ
અમિત શાહે કહ્યું કે સેંગોલની સ્થાપના માટે સંસદ ભવન સિવાય બીજું કોઈ યોગ્ય અને પવિત્ર સ્થળ ન હોઈ શકે, તેથી જે દિવસે નવું સંસદ ભવન દેશને સમર્પિત કરવામાં આવશે, તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેંગોલને તમિલનાડુમાંથી લાવેલા અધિકારી પાસેથી સ્વીકારશે અને તેને લોકસભાના અધ્યક્ષની સીટ પાસે સ્થાપિત કરશે.