‘પક્ષ પલટો એટલે ભાજપનો ભરોસો’, ભાજપ કે સંઘના બેકગ્રાઉન્ડ વિના જ શિખર સર કરનારા 9 ‘દિગ્ગજ’ નેતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BJP CM: દેશની સૌથી મોટી પાર્ટી ભાજપના રાજકારણમાં પહેલા એવી વાતો થતી કે વર્ષો સુધી સંઘની શાખાઓમાં લાઠીઓ ફેરવો તો જ ગાદી મળે. હવે તો સીધો હિસાબ છે બીજા પક્ષમાં રહીને તાકાત બતાવો અને પછી ભાજપમાં આવીને 'મુખ્યમંત્રી'ની ખુરશી પર કબજો જમાવો. બિહારમાં સમ્રાટ ચૌધરીના હાલના રાજ્યાભિષેકે સાબિત કરી દીધું છે કે ભાજપ હવે 'કેડર બેઝ્ડ'થી 'વિનર બેઝ્ડ' પાર્ટી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કહેવાય છે ને કે, 'ધીરે બાપા, ઉતાવળે આંબા ન પાકે,' પણ ભાજપમાં તો ઉતાવળે આંબા તો ઠીક, સીધા મુખ્યમંત્રીના બગીચા જ પાકી રહ્યા છે! હાલ ભાજપના માનીતા એવા 8થી 9 નેતાઓ છે જે અન્ય પાર્ટીમાં આવ્યા અને થોડી કમળ સેવા બાદ સીધા ચીફ મિનિસ્ટર બની ગયા!
બિહારના 'સમ્રાટ': સંઘર્ષ બીજાનો, સત્તા પોતાની!
બિહારમાં સમ્રાટ ચૌધરીએ જે રીતે છલાંગ લગાવી છે તે જોઈને વર્ષો જૂના કાર્યકરો તો મોઢામાં આંગળા નાખી ગયા હશે. RJDની પાઠશાળામાં ભણ્યા, રાબડી દેવીના ખોળે મંત્રી બન્યા, નીતિશ કુમારના શરણે ગયા અને અંતે જ્યારે 'કમળ' પકડ્યું ત્યારે સીધા નાયબ મુખ્યમંત્રી બાદ હવે મુખ્યમંત્રીના તાજ સુધી પહોંચી ગયા. આને કહેવાય, 'પારકા છોકરાને જનોઈ આપવી!' ભાજપે પોતાના જૂના જોગીઓને બાજુ પર મૂકીને આયાતી નેતા પર બિહારમાં દાવ ખેલ્યો છે. ભાજપની આ નીતિ હાલ તો એક કાંકરે અનેક પક્ષી મારી રહી છે. પણ ફેંકેલા કાંકરા પોતાના જ પગમાં આવશે તે તો સમય જ બતાવશે.
પૂર્વોત્તરના પહાડોમાં 'આયાતી' પવન
આસામમાં હિમંતા બિસ્વા સરમાનું ઉદાહરણ તો ચોપડે ભણાવવા જેવું છે. કોંગ્રેસમાં તરુણ ગોગોઈ સામે માથું ઊંચકનાર હિમંતા બિસ્વા સરમા આજે ભાજપના પૂર્વોત્તરના 'ચાણક્ય' છે. એવી જ રીતે મણિપુરમાં એન. બીરેન સિંહ અને હવે યુમનમ ખેમચંદ સિંહ, આ બંનેનું મૂળ તો બીજા પક્ષોમાં જ હતું. અરુણાચલના પેમા ખાંડુ તો આખી ટ્રેન ભરીને (ધારાસભ્યો લઈને) ભાજપમાં આવ્યા અને મુખ્યમંત્રી બની ગયા. જાણે ભાજપ એવું કહેવા માંગતું હોય કે,' બીજાના ખેતરમાં તૈયાર થયેલો પાક લણવાની મજા જ કંઈક અલગ છે!'
ત્રિપુરા અને કર્ણાટકમાં લોટ બીજાનો, રોટલો ભાજપનો શેકાયો!
ત્રિપુરામાં કોંગ્રેસી વિચારધારાવાળા માણિક સાહા અત્યારે સત્તા ભોગવી રહ્યા છે. દક્ષિણમાં પણ આ જ હાલ છે. કર્ણાટકમાં બસવરાજ બોમ્મઈ જનતા દળમાંથી આવ્યા અને સીધા યેદિયુરપ્પાની ગાદી પર બેસી ગયા. જો કે બોમ્મઈ સાહેબ માટે એવું થયું કે 'નવી નવરી નવ દહાડા', કારણ કે તેઓ સત્તા ટકાવી ન શક્યા. પણ ભાજપનો મેસેજ ક્લિયર છે: તમે ગમે ત્યાંથી આવો, જો તમારી પાસે વોટબૅંક છે, તો ભાજપમાં તમારા માટે 'રેડ કાર્પેટ' તૈયાર છે.
UPમાં બ્રજેશ પાઠકને લાવી 'બ્રાહ્મણ' દાવ
ઉત્તર પ્રદેશમાં પણ બ્રજેશ પાઠક BSPના હાથી પરથી ઉતરીને કમળ પર સવાર થયા અને આજે ડેપ્યુટી સીએમ પદે બિરાજમાન છે. ભાજપના પાયાના કાર્યકરો બિચારા 'ભારત માતાની જય' બોલાવતા રહી ગયા અને બહારથી આવેલા નેતાઓ 'જય ભાજપ જય ભાજપ' કરતાં મલાઈ ખાઈ ગયા.
શું ભવિષ્યમાં શિસ્તબદ્ધ પાર્ટીને જૂના કાર્યકરોનો રોષ નડશે?
અંતે તો એટલું જ કહેવાય કે, ભાજપ અત્યારે એવી હૉસ્પિટલ છે જ્યાં બીજા પક્ષના 'બીમાર' નેતાઓ આવે છે અને 'મુખ્યમંત્રી' બનીને હેમખેમ બહાર નીકળે છે. હવે તો લોકો કહેવા લાગ્યા છે કે,'મુખ્યમંત્રી બનવું હોય તો ભાજપમાં જવાની જરૂર નથી, બસ ભાજપ સિવાયના પક્ષમાં રહીને ભાજપને પરસેવો લાવી દો, એટલે હાઇકમાન્ડ પોતે ફોન કરીને તેડાવશે પછી તાગડધિન્ના...









