સંભલ હિંસા : SITએ 1200 પેજની ચાર્જશીટ દાખલ કરી, સાંસદ સહિત 23 લોકોને બનાવ્યા આરોપી
Sambhal Violence Police Chargesheet : ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બર-2024ના રોજ શાહી જામા મસ્જિદના સરવેની કામગીરી દરમિયાન હિંસા થવા મામલે બુધવારે (18 જૂન) એમપી-એમએલએ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેસની તપાસ કરી રહેલી SITએ લગભગ 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ જિયાઉરહમાન બર્ક, જામા મસ્જિદના સદર જફર અલી અને અન્ય 21 લોકોને આરોપી બનાવાયા છે. આ હિંસામાં ચાર લોકોના મોત અને 29 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
SITએ અગાઉ 3000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી
આ પહેલા એસઆઈટીએ લગભગ 3000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં પોલીસે કહ્યું હતું કે, હિંસામાં દુબઈમાં બેઠેલા એક ગેંગસ્ટર શારિક સાઠાનો હાથ છે. તે સંભલના સાંસદ બર્કને સંરક્ષણ પુરુ પાડતો હતો. સાઠાએ લોકોને ભડકાવ્યા હતા. જામા મસ્જિદમાં સરવે અટકાવવા માટે તેણે લોકોને ભડકાવ્યા હતા. તેના ઈશારે હિંદૂ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈનની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ મામલે 79 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
હિંસામાં ગેંગસ્ટર શારિક સાઠાનો હાથ
આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિત સંબંધીત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એસપી કે.કે.બિશ્નોઈએ ખુલાસો કર્યો હતો કે, શારિક સાઠા ગેંગ સાથે જોડાયેલા મોહમ્મદ ગુલામે વર્ષ 2014માં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈકબાલ મહમૂદના પુત્ર સુહૈલ પર ગોળીબાર કર્યો હતો. ગુલામે વિષ્ણુ શંકર જૈનની હત્યા કરવાની સોપારી અપાઈ હતી. પોલીસે ગુલામની ધરપકડ કરી લીધી હતી. તેની પાસેથી એક 9 એમએમની પિસ્તોલ, 32 બોરની બે પિસ્તોલ, ત્રણ વિદેશી પિસ્તોલ, ત્રણ વિદેશી કારતુસ જપ્ત કરવામાં આવી હતી.
સાઠા ગેંગના દાઉદ સાથે સંબંધ
સાઠા ગેંગનું અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમની ડી કંપની સાથે કનેક્શન હતું. પોલીસે દાવો કર્યો હતો કે, શારિક સાઠા બે દાયકાથી સાંસદ બર્કનું કામ કરતો હતો. પૂછપરછ વખતે ગુલામે કહ્યું કે, તેણે 23 નવેમ્બરે સાઠા સાથે ફોન પર વાત કરી હતી અને તેને જામા મસ્જિદના સરવેની માહિતી આપી હતી. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, હિંસા માટે અગાઉથી ષડયંત્ર રચાયું હતું. સાંસદ બર્ક પર ભડકાઉ ભાષણ અને લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવાયો હતો.
હિંસાનો ઘટનાક્રમ
કૈલાદેવી મંદિરના મહંત ઋષિરાજ ગિરી મહારાજે દાવો કર્યો છે કે, સંભલની જામા મસ્જિદ કથિત રીતે હરિહર મંદિર છે. ઋષિરાજ ગિરી મહારાજે તેને લઈને ગત દિવસોમાં સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરીને સર્વે કરાવવાની માગ કરી હતી. આ અરજી પર કોર્ટે સાત દિવસમાં સર્વે રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. જે આદેશ હેઠળ રવિવાર સવારે સર્વે માટે ટીમ જામા મસ્જિદ પહોંચી હતી. સર્વે ટિમને જોઈને લોકોનું ટોળું એકઠું થવા લાગ્યું. સર્વે બરાબર રીતે ચાલી રહ્યો હતો. આ દરમિયાન મસ્જિદની બહાર પહોંચેલા ટોળાએ અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો. જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી.