રાજસ્થાનમાં CMનો તાજ કોના શિરે? પાયલોટે સોનિયા-રાહુલ-ખડગેનું નામ આપી આપ્યા મોટા સંકેત
કોઈપણ પ્રકારનો જૂથવાદ કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે : પાયલોટ
આ વર્ષના અંત સુધીમાં રાજસ્થાનમાં ચૂંટણી યોજવાની છે. જેન લઇ રાજકારણ ગરમાયું છે. તમામ પક્ષો દ્વારા સતા પર આવવા માટે જોરશોર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સચિન પાયલોટનું એક મોટું નિવેદન સામે આવી રહ્યું છે. કોંગ્રેસના નેતા સચિન પાયલોટે આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે મોટો દાવો કર્યો છે. તેમણે આ બાબતે જણાવ્યું કે, રાજસ્થાનમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો નિર્ણય અંતિમ ગણવામાં આવશે. ગેહલોત કે પાયલોટ જૂથ આ અંગે નિર્ણય લેશે નહીં. એટલું જ નહીં, પાયલોટે જણાવ્યું કે, કોઈપણ પ્રકારનો જૂથવાદ કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે.
આ લોકો નક્કી કરશે કે CMનો તાજ કોણ પહેરશે ?
સચિન પાયલોટે વધારેમાં જણાવ્યું કે, સરકારના પુનરાવર્તનના કિસ્સામાં, ધારાસભ્યો નક્કી કરશે કે મુખ્યમંત્રી કોને બનાવવા. ધારાસભ્યો ઉપરાંત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે દ્વારા નક્કી કરવામાં આવેલ નામ પર સીએમની મહોર લાગવામાં આવશે. કાર્યકરો અને સમર્થકોએ સમજવું પડશે કે આપણી પહેલી પ્રાથમિકતા કોંગ્રેસની સરકાર બનવાની હોવી જોઈએ. જૂથવાદને કારણે કોંગ્રેસને નુકસાન થઇ શકે છે. આપણે જીતવા માટે જૂથવાદની અવગણના કરવી જરૂરી છે.
શું છે મામલો ?
રાજસ્થાનના CM અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા આ કડવાશ ઘણી હદે વધી ગઈ હતી. સીએમ ગેહલોતે પણ પાયલટને નકામા, નાલાયક અને દેશદ્રોહી કહ્યા હતા. પોતાના જ પક્ષની સરકારમાં ભ્રષ્ટાચારના મુદ્દે પાયલોટે હડતાળ પર બેસીને પદયાત્રા પણ કાઢી હતી. જો કે, કોંગ્રેસ ચૂંટણી પહેલા જૂથવાદને દૂર કરવામાં સફળ રહી હતી. પાયલોટને સંતુષ્ટ કરવા કોંગ્રેસ નેતૃત્વએ જાહેરાત કરી હતી કે, તેઓ મુખ્યમંત્રી પદ માટે કોઈ ચહેરો રજૂ કર્યા વિના ચૂંટણીમાં ઉતરશે. બંને નેતાઓને એક થઈને ચૂંટણી મેદાનમાં ઉતરવા અને નિવેદનો આપવાનું તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું. એટલું જ નહીં, તાજેતરમાં જ પાયલટને તાલીમ આપવા માટે વર્કિંગ કમિટીમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું.