Former Bangladesh PM Khaleda Zia Passes Away : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને BNPના વડા બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થયું છે. પડોશી દેશમાં ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે ભારત સરકાર તરફથી એક મોટો સંદેશ આપવામાં આવ્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં સામેલ થશે.
80 વર્ષની વયે હૉસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ખાલિદા ઝિયા છેલ્લા લાંબા સમયથી લિવરની બીમારી, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી ગંભીર સમસ્યાઓથી પીડાતા હતા અને હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી(BNP)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે આજે ફજરની નમાઝ બાદ સવારે 6 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનથી બાંગ્લાદેશમાં એક રાજકીય યુગનો અંત આવ્યો છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાંપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
હવે પુત્રના હાથમાં BNPની કમાન
નોંધનીય છે કે ખાલિદા ઝિયાને લીવર, ડાયાબિટીસ તથા હૃદય રોગની બીમારી હતી અને છેલ્લા દિવસથી તેઓ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમના નિધન બાદ હવે BNPની કમાન તેમના પુત્ર તારિક રહેમાનના હાથમાં રહેશે. તેઓ અત્યાર સુધી કાર્યકારી પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા. તેઓ જેલની સજાના ડરથી શેખ હસીના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશ છોડી જતા રહ્યા હતા. જોકે હાલમાં જ તેઓ 17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત આવ્યા છે.
ખલિદા ઝિયાએ પતિના નિધન બાદ રાજકારણમાં પગ મૂક્યો હતો
30 મે, 1981ના રોજ, પૂર્વ રાષ્ટ્રપતિ અને ખાલિદા ઝિયાના પતિ, જનરલ ઝિયાઉર રહેમાનની પણ ચિત્તગોંગમાં લશ્કરી બળવાખોરોએ હત્યા કરી દીધી. એ સમયે ખાલિદા ઝિયા ગૃહિણી હતા. પતિના અવસાન પછી તેમણે પતિએ સ્થાપેલી પાર્ટી BNPનું સુકાન સંભાળ્યું અને રાજકારણમાં પગ મૂક્યો.


